મહારાષ્ટ્રમાં પંઢરપુર નામે મહાન તીર્થધામ છે.પંઢરપુરમાં પુંડરિક નામનો એક યુવાન હતો. ઉંમર લાયક થતાં તેના લગ્ન થયાં. સમય જતાં માતા પિતા વૃદ્ધ થયાં. પુંડરિક અને તેની પત્ની માતા પિતાની સેવા સરખી રીતે કરતાં નથી. તેના માતા પિતા દુઃખી થતાં હતાં. તે સમયમાં એક શહેરના નગર શેઠ ગંગાજીની યાત્રા કરવા જતા હતા.
શેઠે જાહેરાત કરી હતી કે જે ભક્તો યાત્રામાં જોડાશે તેનો ખર્ચ હું આપીશ. આવું સાંભળી પુંડરિકને તેની પત્ની યાત્રામાં જોડાયાં. તેના પિતાએ ના પડી. સેવામાં રહેવાનું કહ્યું. પુંડરિક કહે: ‘ અમે તમારી સેવા કરવા જન્મ નથી લીધો. તમે ગામમાંથી ભિક્ષા માગી લેજો.’ માતા પિતાને કોચવીને યાત્રામાં જોડાણા. બીજા દિવસે રાત્રીએ પેલા નગરશેઠને ગંગાજીએ દર્શન દઈને કહ્યું : ‘હે શેઠ! તમારા સંધમાં પંઢરપુરનો એક યુવાન તેના માતા-પિતાને દુઃખી કરીને આવ્યો છે. તેથી તેને ઘરે પાછો મોકલો. અન્યથા તમને યાત્રાનું ફળ નહિ મળે.’ આમ કહી ગંગાજી અદ્રશ્ય થયાં. સવારે શેઠે પવિત્ર થઈ પૂજા કરી.
પુંડરિકને બોલાવી સર્વે વાત કરી. પુંડરિકને પારાવાર પસ્તાવો થવા લાગ્યો. તે તુરંત ઘરે ગયો. માતા-પિતાની માફી માગી. અખંડ સેવામાં લાગ્યો . પુંડરિકની માતૃ - પિતૃ ભક્તિ જોઈ ભગવાન તેને ઘરે દર્શન દેવા આવ્યા. તે સમયે પુંડરિક માતા-પિતાની સેવામાં હતો. પ્રભુને આસન આપવા માટે નજીકમાં રહેલી ઈંટ ફેંકીને કહ્યું: ‘ હે ભગવાન! આપ ઈંટ ઉપર ઊભા રહો. હું માતા-પિતાની સેવા કરીને આપના દર્શને આવું છું.’ ભક્તવત્સલ ભગવાન ઈંટ ઉપર ઊભા રહ્યા. તે સમયે ઈંટ સોનાની થઇ. માતા-પિતાની સેવામાં ઘણો સમય લાગ્યો.
પ્રભુ ઊભા-ઊભા થાકયા. થાક ઉતારવા પોતાના બન્ને હાથ કમર ઉપર રાખ્યા. તે સમયે પુંડરિક સેવામાંથી પરવારીને ભગવાનના દર્શન કરવા આવ્યો. ભગવાને અતિ પ્રસન્નતાથી કહ્યું : ‘ હું તારી માતૃ-પિતૃ ભક્તિથી રાજી થયો છું. તારી માતૃ-પિતૃ ભક્તિને કાયમી યાદ રાખવા માટે હું હંમેશાંને માટે અહીં બન્ને હાથ કેડ ઉપર રાખીને ઊભો રહીશ.’ભગવાન તે દિવસથી ભગવાન વિઠોબા સ્વરૂપે બિરાજે છે.•