રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આગામી 2 અને 3 ઓક્ટોબર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમની મુલાકાત લઇ શકે છે. 3 ઓક્ટોબરે ગાંધીનગર નવા સિવિલ હોસ્પિટલના ખાત મૂહુર્તના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાતં અન્ય સરકારી કાર્યક્રમો તેઓ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ નિર્માણ પામશે
રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
રાજપીપળા GMERS હોસ્પિટલમાં કુલ ૫૪૦ પથારીઓની સગવડ રહેશે
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કરશે. સાથે તેઓ ગાંધીનગરથી રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરશે.
ગાંધીનગરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત કરાશે
જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુજીના હસ્તે આગામી તા. ૩જી ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. એટલું જ નહિ, રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પુરી પાડવામાં આવશે. કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમજ શ્વાસના સંદર્ભિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પુરી પાડવામાં આવશે. રેન બસેરામાં હોસ્પિટલમાં દાખલ કરેલા તમામ દર્દીઓના સગાઓ માટે રહેવા તથા જમવાની પુરતી સગવડ માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે. આ હોસ્પિટલ વેન્ટીલેટેડ, નેચરલ કુલીંગ, પુરતા પ્રમાણમાં નેચરલ લાઈટીંગ વાળી બનાવવામાં આવનાર છે.
રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરાશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીના વરદ હસ્તે આગામી તા.૩જી ઓકટોબરના રોજ નર્મદા જીલ્લાના રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. રાજપીપળા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા નવિન કોલેજ અને હોસ્પિટલ રૂ.૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી આરોગ્યપ્રદાન સુવિધા બનશે.
નવનિર્મિત હોસ્પિટલમાં કુલ ૫૪૦ પથારીઓની સગવડ રહેશે
નર્મદા જીલ્લામાં વસવાટ કરતી ૭ લાખની વસ્તીમાંથી લગભગ ૮૫ ટકા નાગરિકો આદિવાસી વનવાસી છે, જેમના માટે નિર્માણ પામનારી જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, રાજપીપળા એક આશીર્વાદ સમાન બનીને રહેશે. આ હોસ્પિટલનો લાભ આજુબાજુના નાંદોદ, સાગબારા, ડેડીયાપાડા, તિલકવાડા તથા ગરુડેશ્વરના નાગરિકો તથા સીમાવર્તી રાજ્ય મહારાષ્ટ્રના નાગરિકો અને Statue of Unityની મુલાકાતે આવતા લાખો પ્રવાસીઓને મળી રહેશે. આ હોસ્પિટલનું નિર્માણ કુલ ૬ માળનું રહેશે. આ નવનિર્મિત હોસ્પિટલમાં કુલ ૫૪૦ પથારીઓની સગવડ રહેશે.