વિવાદાસ્પદ AgVa હેલ્થકેર મેડિકલ સ્ટાર્ટઅપે બનાવેલા વેન્ટિલેટર્સ ઉપર Huffingtonpost વેબસાઈટના અહેવાલો મુજબ ચોંકાવનારી માહિતી સામે આવી છે. Huffingtonpostનો દાવો છે કે AgVaમાં કામ કરતા બે ભૂતપૂર્વ કર્મચારીઓએ ધડાકો કર્યો હતો કે કંપનીએ ઓછી કિંમતના વેન્ટિલેટરને એવી રીતે છંછેડીને બનાવ્યા છે કે તેના ડિસ્પ્લેમાં જેટલો ઓક્સિજન દર્દીના ફેફસામાં પહોંચ્યો એવું બતાવે તેના કરતા હકીકતમાં ઓછો ઓક્સિજન દર્દીઓના ફેફસામાં પહોંચે છે.
આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે મુંબઈની J J હોસ્પિટલના ડોકટરોએ AgVa વેન્ટિલેટરના પરફોર્મન્સમાં અને તેના ડિસ્પ્લે થતા રીડિંગ (Reading) વચ્ચેનો તફાવત નોંધ્યો હતો. ત્યાર બાદ આ વેન્ટિલરોની તપાસ કરવામાં આવી હતી.
કોરોના દર્દી માટે અગત્યના એવા FiO2ના આંકડામાં તફાવત હોવાના અહેવાલ
આ તપાસનો અહેવાલ HuffPostને J J હોસ્પિટલના 5 નિષ્ણાત ડોકટરોએ આપતા કહ્યું હતું કે વેન્ટિલેટરમાં દર્દીને અપાયેલા FiO2ના આંકડા અને દર્દીને હકીકતમાં મળેલ FiO2 બંનેમાં તફાવત જોવા મળ્યો છે. FiO2એ Fraction of Inspired Oxygen એટલે કે દર્દીના શરીરમાં દાખલ કરાયેલ ઓક્સિજનની ટકાવારી દર્શાવે છે. આ આંકડો 21% થી 100%ની વચ્ચે હોય છે. FiO2એ કોરોનાના દર્દીઓ માટે ખૂબ અગત્યનો ઘટક છે. ચિંતાજનક વાત એ છે કે મળતી માહિતી પ્રમાણે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં પણ AgVaના વેન્ટિલટર ઉપર થયેલા ટેસ્ટિંગના આવા જ નિરાશાજનક પરિણામ મળ્યા હતા. J J હોસ્પિટલના એક અહેવાલ અનુસાર તો એક વેન્ટિલેટર ચાલુ કર્યાની 5 જ મિનિટમાં બંધ થઇ ગયું હતું જેથી વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીની સ્થિતિ કથળી હતી.
AgVa વેન્ટિલેટર આ વર્ષના માર્ચ મહિનાથી ચર્ચામાં છે જ્યારથી મોદી સરકારે આવા 10,000 વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ મુદ્દે નિષ્ણાતોના મિશ્ર પ્રતિસાદ આવી રહ્યા છે. સૂત્રો પરથી મળતી માહિતી પ્રમાણે આ વેન્ટિલટર્સ ઉપર PMCARES ફંડનો લોગો પણ લગાવવામાં આવ્યો છે.
મીડિયા દ્વારા આ કંપનીના વૅન્ટિલેટરની કાર્યક્ષમતા પર સવાલા ઉઠાવાયા હતા
મહત્વનું છે કે 29 જૂનના રોજ મુંબઈ મિરર દ્વારા સમાચાર પબ્લિશ કરવામાં આવ્યાં હતાં કે AgVA કંપનીના 81 જેટલા વેન્ટિલેટર્સ મુંબઈની સેન્ટ જ્યોર્જ અને J J હોસ્પિટલ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જેમાં કારણ જણાવાયું હતું કે મશીન કોરોનાના દર્દીઓને 100 ટકા ઑક્સિજન પૂરો પાડી શકતો નથી અને જેમાંથી એક ચાલુ કર્યાની 5 મિનિટમાં જ ફેલ થયું હતું. મુંબઈના આ અંગ્રેજી અખબાર અનુસાર આ બંને હોસ્પિટલ્સે સ્પષ્ટ કરી દીધું હતું કે જે NGO દ્વારા આ વેન્ટિલેટર્સ ડોનેટ કરાયા છે તે કોરોનાના દર્દીઓ માટે યોગ્ય નથી.
AgVa હેલ્થ કેરનો વળતો જવાબ
આ મુદ્દે AgVa હેલ્થ કેરે તેમના પૂર્વ કર્મચારીઓના આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે HuffPost India સાથે વાત કરીને દાવો કર્યો હતો કે દર્દીને 100% FiO2ની જરૂર હોય તો પણ તેને 100% FiO2નો પ્રવાહ મળી રહે તે શક્ય નથી અને તેમના વેન્ટિલેટરને કોઈ પણ પ્રકારના ટેસ્ટમાં મૂકીને તેની તપાસ કરીને આ સાબિત કરી શકાય છે.
આ ઉપરાંત J J હોસ્પિટલમાં પહોંચેલા વેન્ટિલેટર્સ મુદ્દે તેમણે કહ્યું હતું કે આ હોસ્પિટલમાં વેન્ટિલેટરના ફિટિંગ AgVaના એન્જીનિયર્સ દ્વારા થયું નથી ઉપરાંત ત્યાં આપેલ વેન્ટિલેટર્સ એ જુદા અને જુના મોડલ્સ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રથમ વખત વાપરનાર ડોક્ટરને બરાબર વાપરતા ફાવ્યું ન હોવાના પગલે પણ ખોટા પરિણામો આવી શક્યા હોય તેવી શક્યતા છે. AgVa અત્યારે J J હોસ્પિટલને સૌથી નવા મોડલ આપી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ડોક્ટરને બરાબર વાપરતા ફાવ્યું ન હોવાના AgVaના દાવા ઉપર એક ડોકટરો નામ ન આપવાની શરતે ટિપ્પણી કરી હતી કે દાયકાઓનો અનુભવ ધરાવતા ડોક્ટર જેમણે તેમની કારકિર્દીમાં સેંકડો વેન્ટિલેટર લગાવ્યા છે તેમને એક 3 વર્ષ જૂની મેડિકલ કંપની આક્ષેપ મૂકીને કહે છે કે ડોકટરોને વેન્ટિલેટર ઓપરેટ કરતા નથી ફાવ્યું; આ એક હાસ્યાસ્પદ વાત છે.