સરકારની રચના અને મંત્રીઓને જવાબદારીની વહેંચણીમાંથી આરામ મળ્યા બાદ વડાપ્રધાન મોદી સરકારના એક્શન પ્લાન પર કામ કરવામાં લાગી ગયા છે. આ મામલે તેઓ ડઝન જેટલા ટોપ મંત્રીએ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ પર થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં સરકારના ભવિષ્યના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સાથે જ આવનારા દિવસોમાં દરેક મંત્રાલયનો એજંડા શું હશે તેના પર પણ ખાસ વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સિવાય આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રોડ-ટ્રાન્સપોર્ટ, સુક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યમ મંત્રી નિતિન ગડકરી, દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ ભાગ લઇ રહ્યા છે. આ બેઠકમાં મુખ્તાર અબ્બાસ નકવી પણ સામેલ છે. રાજનાથસિંહ સિયાચીનના પ્રવાસે હોવાથી તેઓ આ બેઠકમાં હાજર રહી શક્યા નથી.
આપને જણાવી દઇએ કે, 17 જૂનથી 17મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. 17થી 19 જૂન સુધી નવા ચૂંટાઇ આવેલ સભ્યોની શપથ વિધિ યોજવામાં આવશે. લોકસભા સચિવાલયથી આજરોજ જાહેર કરવામાં આવેલ નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ બંન્ને સદનની સંયુક્ત બેઠકને 20 જૂનના રોજ સવારે 11 કલાકે સંસદના કેન્દ્રીય ગૃહમાં સંબોધન કરશે. આ સાથે જ સદનનના બંન્ને ગૃહોની બેઠક 26 જુલાઇ સુધી ચાલશે.
આ સાથે જ રાજ્યસભાનું સત્ર 20 જૂનથી શરૂ થશે. આ સત્રમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે જ સરકાર પોતાના એજન્ડા પર કામ કરવાનું શરૂ કરી દેશે. અત્રે નોંધનીય છે નરેન્દ્ર મોદી માટે આ સમય રોજગારનો પ્રશ્ન એક પડકારરૂપ છે. દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષથી વધારે સ્તર પર ગયો છે.