કોરોના વાયરસ! એક એવો સુક્ષ્મ જીવ જેણે સમગ્ર દુનિયાને અત્યારે બાનમાં લીધી છે. વિશ્વમાં લાખો લોકોને બિમાર કરીને હજારો લોકોના જીવ લેનાર કોરોના વાયરસ સામે વિશ્વના અલગ અલગ દેશો કાબૂમાં લાવવા બનતા પ્રયત્નો કરી રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ અને તજજ્ઞોએ અત્યારે દવા વિના આ રોગથી બચવાનો એક જ ઈલાજ સૂચવ્યો અને તે છે આઈસોલેશન. ત્યારે આ વાતને સમજીને સમગ્ર દેશ સ્વસ્થ રહી શકે તેવી મુહિમ સાથે PM મોદીએ ઐતિહાસિક દેશવ્યાપી ૨૧ દિવસનું લોકડાઉન લાગુ કરી દીધું છે.
જો કે આ લૉકડાઉનનો નિર્ણય લેવો કોઈ આસાન નિર્ણય નહોતો. કારણ કે તેનાથી દેશના પહેલેથી જ ડામાડોળ થયેલા અર્થતંત્રને વધુ એક મોટો ઝાટકો લાગવાનો છે એ નિશ્ચિત છે. એ દેશના PM પણ જાણે છે અને દેશની પ્રજા પણ. જો કે PM મોદીએ આ કટોકટીમાં અર્થતંત્ર અને માનવજાત બંનેમાંથી લોકોના જીવને પ્રાધાન્ય આપ્યું અને કહ્યું જાન હે તો જહાન હે. હા, એમાં કોઈ બેમત નથી કે કોઈ પણ દેશનો પ્રધાનમંત્રી પહેલાં પોતાની પ્રજા માટે જ વિચારે, અને એટલે જ PM મોદીના આ પગલાનું વ્યવસ્થિત અમલીકરણ થાય તે માટે વિરોધપક્ષ સહિત આપણે તમામે આ પગલાને હૃદયપૂર્વક સમર્થન આપવું પડશે. કારણ કે આ દેશ એકલા PMનો નહીં પરંતુ આપણો પણ છે.
લૉકડાઉન જરૂરી હતું કારણ કે...
હા એ હકીકત છે કે આ લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશની કુલ વસ્તીના ૮૦% વર્ગ ધરાવતું અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર છે જે આ લૉકડાઉન માટે કોઈ પણ પ્રકારે તૈયાર નહોતું. તેમ છતાં આ પગલું ખૂબ જરૂરી છે જેની દુનિયાભરમાં અત્યારે સરાહના થઇ રહી છે. આ લૉકડાઉનથી સરકારને એક 'બ્રિધીંગ પીરીયડ' એટલે કે વધારાનો સમય મળશે જે દરમિયાન દેશ થોડા સમય માટે થંભી જશે અને સરકારને મોટા પ્રમાણમાં કોરોના સંદિગ્ધ લોકોને ટ્રેક કરવાનો અને ટેસ્ટ કરવાનો સમય મળી જશે.
કટોકટીમાં ટીકાઓને કટ કરો એટલું સારું
24મી માર્ચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉન લાદવાની જાહેરાત કરી જે આ મહામારીમાં લોકોના જીવ બચાવવાનું સૌથી મહત્વનું પગલું હતું. આ લોકડાઉન પછી એવી ટીકાઓ શરૂ થઇ કે આ પગલું ઘણા દિવસો પહેલાં ભરવાની જરૂર હતી હવે ઘણું મોડું થઇ ગયું છે. પરંતુ હકીકતમાં આ પ્રકારના પગલામાં સફળ અમલીકરણ માટે માત્ર સરકાર કે કોઈ PM નહીં પરંતુ પ્રજા, વિરોધ પક્ષ, મીડિયા સહિતના દેશના તમામ ઘટકોએ સાથે આવીને કામ કરવું પડશે.
અર્થતંત્ર અને માનવતંત્ર વચ્ચે કોને બચાવવું તેનો આ નિર્ણય છે
કડવી વાસ્તવિકતા છે કે અર્થતંત્રએ આ લોકડાઉનથી ભોગવવાનું તો છે જ અને એ વાતમાં કોઈ બેમત નથી. દેશની સપ્લાય ચેઈન ખોરવાઈ જશે પરંતુ દેશના અર્થતંત્રનું વહાણ બચાવવા કે દેશવાસીઓના જીવ બચાવવા જેવા વિકટ પ્રશ્ન સામે PM મોદીએ લોકોના જીવને વધારે પ્રાધાન્ય આપ્યું છે.
આ સમય મોરલ ડાઉન નહીં લૉક ડાઉનનો છે
ભારતની લોકશાહીમાં વિપક્ષને હંમેશા ચૂંટાયેલી સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને આરોગ્ય તેમ જ અર્થતંત્રની સ્થિતિ માટે જવાબદાર ઠેરવી શકે છે પણ તેની સાથે સાથે કટોકટીમાં સરકારના પડખે રહીને સરકારના નિર્ણયોનું પાલન કરવું અને કરાવવુ પણ તેમની ફરજ છે. અત્યારે આ નિર્ણયનું અમલીકરણ ચુસ્ત રીતે થાય તે માટે વિપક્ષે પણ પોતાની કમર કસવી પડશે.
નોંધનીય છે કે વિપક્ષ હંમેશા મોદી સરકારને સરમુખત્યાર ગણાવતો આવ્યો છે પણ આ વિકટ પરિસ્થિતિમાં ઝડપી અને સરમુખત્યાર નિર્ણયો લેવા આવશ્યક બની ગયા છે. અત્યારે રાજકારણ રમવાનો સમય નથી અને ગંદી રમતથી દુર રહેવું જોઈએ.
આમ કરવાના બદલે બીજા રાજ્યોએ AMC (Ahmedabad Municipal Corporation) ની ગરીબોને ભોજન પૂરું પાડવાની કામગીરી અને ગુજરાત સરકારના પરપ્રાંતિય કામદારોને તેમના વતન પાછા પહોંચાડવાના પગલાને ધ્યાનમાં રાખીને તેનું અનુકરણ કરવું જોઈએ.
બસ, આ એક ખરાબ સમય છે જેને ભારતીયો બખૂબી પસાર કરી દેશે
આ એક વિપદાનો સમય છે અને આવો સમય કોઈ પણ દેશ પર આવી શકે છે. ડાબેરી વિચારધારા, પરંપરાવાદી વિચારધારા, કેન્દ્રીય વિચારધારા, કોઈ પણ પક્ષ, ધર્મ કે વર્ગના સમર્થકો, રાજકારણીઓ, સ્થાનિક નેતાઓ, એવા પત્રકારો જેમને PM મોદી માટે માન છે કે માન નથી; સૌએ આ સમયમાં એવું સ્વીકારવું રહ્યું કે PM મોદીના આ ચુંબકીય વ્યક્તિત્વને લીધે જ તેઓ એક હાકલ કરીને આખા દેશને અત્યારે તેમના ઘરમાં જ રહેવા માટે મનાવવામાં સફળ થયા છે.
સમગ્ર દુનિયાનું આરોગ્ય વધુ કથળે, સ્થિતિ ગંભીરથી અતિ ગંભીર બને તે પહેલા દરેક વ્યક્તિએ આ લોકડાઉનમાં ભાગ લઇને પોતાની ફરજ બજાવવાની છે. અર્થતંત્રને ફરીથી દોડતું કરવાની તાકાત ભારત દેશ ધરાવે છે અને આ જ સાહસવૃતિ હંમેશાથી ભારતની ઓળખ રહી છે. બસ, આ કટોકટીનો સમય પસાર થઇ જાય તેની રાહ જોવાઈ રહી છે.