લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કામાં રાજ્યની તમામ છવ્વીસેય બેઠકો પર મતદાન યોજાઈ ગયું. રાજ્યમાં લોકસભાની છવ્વીસ બેઠકો સાથે સાથે વિધાનસભાની ચાર બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જેનાં પરિણામ 23મેનાં દિવસે આવશે. જો કે, પરિણામની રાહ જોઈ રહેલાં રાજ્યનાં લોકોને આ એક મહિનો પાંચ વર્ષ કરતાં પણ મોટો લાગશે. પરંતુ રાજ્યમાં જે રીતે મતદાન થયું છે તેનાં પરિણામો કળવામાં રાજનીતિનાં ચાણક્યો પણ થાપ ખાઈ જઈ શકે છે.
ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્વની જ નહીં, પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે. તેથી જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે લોકસભાની 2019ની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હતું. કારણ કે, પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું. આવી કોઈ સીધી અસર લોકસભા ચૂંટણી પર પડી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં 26માંથી 10 લોકસભા બેઠકો પર પાટીદારોનાં મતો નિર્ણાયક ભૂમિકામાં છે.
જો કે તેમાંથી શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યાં છે. તો અમરેલી-જુનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોનાં પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપનાં વિરોધમાં છે. ત્યારે પાટીદારોનાં પ્રભુત્વવાળી બેઠકો પર આ વર્ષે કેટલુ મતદાન થયું તેનાં પર એક નજર કરીએ.
2019ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા બેઠક પર 64.91 ટકા મતદાન થયું છે તો ગાંધીનગર બેઠક પર 64.65 ટકા મતદાન થયું છે. તો બનાસકાંઠા બેઠક પર 64.71 ટકા મતદાન થયું છે. જ્યારે અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અહીં 60.77 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો અહીં 63.12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે આણંદ બેઠક પર 66.03 ટકા મતદાન નોંધાયું છે.
ગત લોકસભા ચૂંટણીનાં મતદાનનાં આંકડા પર નજર કરીએ તો, પાટીદાર આંદોલનની પોઝીટિવ કે નેગેટીવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી. માત્ર બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન 6 ટકા જેટલું વધ્યું છે. બાકી બેઠકોનો મતદાનનો આંકડો તો ઓલમોસ્ટ સરખો જ છે. પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ વળ્યો છે તે તો 23મી મેંનાં રોજ પરિણામ આવતા જ માલૂમ પડશે.
લોકસભાની ચૂંટણીનાં મતદાન વચ્ચે રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઇ હતી અને લોકોએ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર અને માણાવદરની બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. લોકસભા સાથે યોજાયેલી ચાર વિધાનસભાની પેટાચૂંટણીમાં 58.60 ટકા સરેરાશ મતદાન થયું છે.
ઊંઝા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં 62% મતદાન થયું છે તો ધ્રાંગધ્રા બેઠક માટેની પેટાચૂંટણીમાં 55.07% મતદાન નોંધાયું છે. તો જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં 59.66% મતદાન નોંધાયું છે જ્યારે માણાવદર બેઠક પેટાચૂંટણીમાં 57.68% મતદાન નોંધાયું. આ તમામ બેઠકોમાં જેમાં ઊંઝા બેઠક પર સૌથી વધારે 62 ટકા મતદાન થયું હતું. જ્યારે આ ચારમાંથી સૌથી ઓછું મતદાન ધ્રાંગધ્રા બેઠક પર 55.07 ટકા થયું હતું.
ઉલ્લેખનીય છે કે,ઊંઝા બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયાં હતાં. માટે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની ફરજ કરી પડી હતી. જ્યારે માણાવદર બેઠક પરથી કોંગ્રેસનાં દિગ્ગજ નેતા જવાહર ચાવડા પણ ભાજપમાં જોડાઇને સીધા મંત્રી બન્યાં હતાં. જેનાં કારણે અહીં પણ ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
તો આ તરફ માત્ર ચાર મહિના પહેલાં જ જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજીભાઈનો સારી લીડથી વિજય થયો હતો. લોકસભાની ચૂંટણી નજીક જ હોવાથી પક્ષાંતર ભાજપને ખૂબ ફાયદો કરાવશે તેવા સરવાળા થઇ ચૂક્યાં હતાં. પરંતુ લોકસભાનું મતદાન પૂર્ણ થતા જ જસદણ પંથક મતોની બાબતમાં સૌથી ઓછા મતો ધરાવતું વિધાનસભા ક્ષેત્ર બનીને રહી ગયું. જસદણનાં મતદારોમાં ચાર મહિના પહેલાં જે જુસ્સો હતો તે લોકસભા આવતા જ જાણે ગાયબ થઇ ગયો છે.
મતની ટકાવારી ઘટવી સામાન્ય બાબત છે પણ 2014ની ચૂંટણી કરતા મતદારોમાં 6700નું ગાબડું સૂચક બની રહ્યું છે. તો બીજી તરફ લલિત કગથરા જ્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં છે ત્યાં મોરબી-ટંકારામાં ગત ચૂંટણી કરતા 30,000 કરતા વધુ મતો પડ્યાં છે. રાજકોટ લોકસભાની બેઠકનું વિધાનસભા વિસ્તાર મુજબ આંકલન કરવામાં આવે તો જસદણ પંથકનું સૌથી ઓછું 54.41 ટકા મતદાન થયું છે અને ગત વર્ષ કરતા મતદારો પણ ઘટ્યાં છે.
તો બીજી તરફ ટંકારા બેઠક પરનાં ધારાસભ્ય લલિત કગથરાએ વાંકાનેર અને ટંકારામાં ગત ચૂંટણી કરતા વધુ મતદારોને બૂથ સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં છે. ટંકારામાં 19,067 મત વધુ પડ્યાં તો મંત્રીનાં ગઢમાં 6781 મતની ખાધ રહી ગઈ છે. 23મીએ પરિણામ જાહેર થવાનું છે તેમાં જે કોઇ પણ જીતે પણ આ બંને વિસ્તાર વચ્ચે જે મતદાનમાં તફાવત જણાયો છે તે તફાવત બંને પક્ષો માટે લાંબા ગાળાની છાપ છોડનાર સાબિત થશે.