પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને સ્પોટ ફિક્સિંગ બદલ 17 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. 30 વર્ષીય ખેલાડીને ગત વર્ષે ડિસેમ્બરમાં કોર્ટે દોષી ઠેરવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ જમશેદ ઉપર 2018માં જ 10 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો.
માન્ચેસ્ટરની ક્રાઉન કોર્ટે પણ જમશેદ ઉપરાંત યુસુફ અનવર અને મોહમ્મદ એજાઝને અનુક્રમે 40 અને 30 મહિનાની સજા સંભળાવી હતી. તમામ ખેલાડીઓએ પાકિસ્તાન સુપર લીગ (PSL) માં જાણી જોઈને નબળા પ્રદર્શન માટે ખેલાડીઓને પૈસા આપવાની કબૂલાત કરી છે. આ બંને યુકેના નાગરિકો છે.
ગયા વર્ષે એક પોલીસ અધિકારી બુકીનો વેશ ધારણ કરીને મેચ ફિક્સ કરવા માટે ત્રણેયનો સંપર્ક કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે જમશેદે 2016 માં બે વખત બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં સ્પોટ ફિક્સિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીએ સ્પોટ ફિક્સિંગ ની તપાસ દરમિયાન ગયા વર્ષે જમશેદ, યુસુફ અનવર અને મોહમ્મદ એજાઝની ધરપકડ કરી હતી. શરૂઆતમાં, આ ત્રણેયએ ફિક્સિંગનો ઇનકાર કર્યો હતો, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન બધાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
આ નિર્ણય પછી, જમશેદની પત્ની સમારા અફઝલે કહ્યું કે નાસિરનું ભવિષ્ય સારું હોઈ શકતું હતું, પરંતુ તેણે શોર્ટકટ અપનાવીને બધું ગુમાવ્યું. નાસિરને યુકેની નાગરિકતા મળી શકે તેમ હતી અને કાઉન્ટી ક્રિકેટ રમી શકે તેમ હતો, પરંતુ તેણે કારકિર્દી આદર અને ખ્યાતિ બધું ગુમાવી દીધું.
સમારાએ એક નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય ખેલાડીઓને ખોટો રસ્તો ન અપનાવવા માટે શીખવશે. જમશેદની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, અન્ય ખેલાડીઓ આ પગલાંને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી તરીકે મુલવશે.
6 ડિસેમ્બર 1989 ના રોજ પંજાબના લાહોરમાં જન્મેલા જમશેદે પાકિસ્તાન માટે બે ટેસ્ટ, 48 વનડે અને 18 ટી 20 મેચ રમી છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે જમશેદે 2008માં ઝિમ્બાબ્વે સામે વનડેમાં ડેબ્યૂ પ્રવેશ કર્યો હતો, પરંતુ તે ટીમમાં પોતાનું સ્થાન જાળવી શક્યો ન હતો.