શું કોઈ લારીવાળો 24 વર્ષના સમયગાળામાં 96 લોકોને મોતને ઘાટ ઉતારી શકે ખરો ? આ સાંભળીને ભલે થોડું વિચિત્ર લાગે, પરંતુ આ ચોંકાવનારી હકીકત છે. પાડોશી દેશ પાકિસ્તાનના કરાચી શહેરમાં એન્ટી-સ્ટ્રીટ ક્રાઈમ અને સોલ્જર બજાર પોલીસે અહીં આવા જ એક વિકૃત આરોપીની ધરપકડ કરી છે.
પાકિસ્તાનના લારીવાળાએ 24 વર્ષમાં કર્યા 96 મર્ડર
યુસુફ ઉર્ફે ઠેલેવાલા MQM-L નો સભ્ય
યુસુફની ધરપકડ કર્યા પછી શહેરના SP એ યોજી પ્રેસ કોન્ફરન્સ
આ આરોપીએ 1995માં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ લંડન (MQM-L)નું સભ્યપદ લીધું હતું. ત્યારબાદથી તેણે આડેધડ હત્યા કરવાનું શરૂ કરી દીધું હતું. આ આરોપીનું નામ યુસુફ ઉર્ફે ઠેલેવાલા (લારીવાળા) હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાની અખબાર ‘ડૉન’ના જણાવ્યા અનુસાર, પોલીસે એક ટીટી પિસ્તોલ, ગ્રેનેડ અને એક મોટરસાઈકલ પણ કબજે કરી છે. પોલીસે જ્યારે આરોપીની કડક પૂછપરછ કરી ત્યારે તેણે ઘણા ચોંકાવનારા રહસ્યો જણાવ્યા હતા.
યુસુફ ઉર્ફે ઠેલેવાલા MQM-L નો સભ્ય
યુસુફ ઉર્ફે ઠેલેવાલા મુત્તાહિદા કૌમી મૂવમેન્ટનો સભ્ય છે. યુસેફે તેના સાથીદારો સાથે 30 લોકોની હત્યામાં સીધી સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, તેણે 66 મૃતદેહોનો નિકાલ કરી દીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે તેણે મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ લંડનનું સભ્યપદ લીધું ત્યારબાદથી જ તેણે હત્યાઓ કરવાની શરૂ કરી હતી.
યુસુફની ધરપકડ કર્યા પછી શહેરના SP એ યોજી પ્રેસ કોન્ફરન્સ
ખતરનાક અને શાતિર દિમાગના અપરાધી યુસુફની ધરપકડ કર્યા પછી શહેરના એસએસપીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે આરોપી અને તેની મોડસ ઑપરેન્ડી વિશેની તમામ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુસુફે કબ્લયું હતું કે, તે ડૉ.ફારૂક સત્તારના સંપર્કમાં હતો, તેમનો સંપર્ક થયા બાદ તેણે હત્યાઓ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ડૉ.સત્તારને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે યુસુફ નામના કોઈ વ્યક્તિને ઓળખતા હોવાનો જ ઈન્કાર કર્યો હતો.
પૂછપરછમાં કર્યા મોટા ખુલાસા
યુસુફે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, તેણે પાકિસ્તાન એરફૉર્સના એક અધિકારી, બે લશ્કરી જવાનોની હત્યા કરી હતી. આ ઉપરાંત તેણે 12 અન્ય લોકોની પણ હત્યા કરી હતી, જેમાં પોલીસ બાતમીદાર, એક પોલીસકર્મી, મોહજીર કૌમી આંદોલનના પાંચ કાર્યકરો, એક સરકારી કર્મચારી સહિત કુલ 12 લોકોને માર્યા ગયા હતા.
તેણે કબુલ્યું હતું કે, તેણે તેના અન્ય સાથીઓ નદીમ ઉર્ફે માર્બલ, રિયાઝ ઉર્ફે ચાચા, અઝીમ ઉર્ફે છોટા, રશીદ ઉર્ફે છોટા, અબ્દુલ સલામની સાથે મળીને પોતાના જ બે ભાઈઓ આસિફ અને કાશિફનું મોમિનાબાદથી અપહરણ કર્યું હતું. ફક્ત શંકાના આધારે તેણે બંને ભાઈઓની પણ હત્યા કરી હતી. બંને ભાઈઓ પોલીસને બાતમી આપતા હોવાની તેને શંકા હતી.
પ્રથમ વાર 1996 કરાઇ હતી આ શખ્સની પસંદગી
એસએસપીએ કહ્યું કે, યુસુફની સૌ પ્રથમ વાર 1996માં રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે 1997માં જામીન પર છૂટી ગયો હતો. ત્યારબાદ તેને 1998માં મોમિનાબાદ પોલીસે બે વ્યક્તિઓની હત્યામાં કથિત સંડોવણી બદલ પકડ્યો હતો. આ આરોપમાં તેણે પાંચ વર્ષ જેલમાં વીતાવ્યા હતા અને 2003માં તે પેરોલ પર છૂટ્યો હતો. ત્યારથી તે છુપી રીતે જિંદગી જીવી રહ્યો
હતો.