અમદાવાદના વેજલપુરમાં બનેલા નવોનકોર અંડરબ્રિજની દીવાલ રાજકીય પાર્ટીઓએ રંગી દીધી છે. પક્ષો પ્રચારના મોહમાં સરકારી સંપતિની કાળજી ભૂલ્યા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.
અમદાવાદમાં રાજકીય પક્ષોની લડાઈનું કેન્દ્ર બની દીવાલ
વેજલપુરના નવા બનેલા અંડરબ્રિજની બંને બાજુ આડેધડ પેઈન્ટિંગ
ભાજપ અને AAPએ બ્રિજની બંને બાજુ પેઈન્ટિંગ કર્યા
રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને રાજકીય ગરમાવો જામ્યો છે. તેવામાં રાજકીય પક્ષના જવાબદારોએ પોતાના પક્ષની લોકોમાં અનેરી છાપ છોડવા શહેરની દીવાલો સહિતની જગ્યાઓ પેઈન્ટિંગ કાર્ય છે. જેને લઇને અમદાવાદમાં આડેધડ જ્યાં જુઓ ત્યાં રાજકીય પાર્ટીના ચૂંટણી ચિહ્નો દેખાઇ રહ્યા છે. તેવામાં વેજલપુરના નવા બનેલા અંડરબ્રિજની બંને બાજુની દીવાલ રાજકીય પક્ષોનું લડાઈનું કેન્દ્ર બની હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વેજલપુરના નવાનકોર બ્રિજની બંને બાજુએ ભાજપ અને AAPએ 'ચિત્રસ્પર્ધા' યોજી હોય તેમ ચીતરી નાખ્યા છે. ભાજપ અને આપ દ્વારા સરકારી દીવાલ અને પિલર ઉપર ચિત્રકામ કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, સરકારી સંપત્તિ પર લખાણ લખવું ગુનો હોવા છતા ભાજપ-AAPએ કાયદાની ઐસીતૈસી કરીને આખી દીવાલ ચીતરી નાંખી છે. ચૂંટણીના આગમનને લઈને પક્ષના પ્રચારના મોહમાં સરકારી સંપતિની કાળજી ભૂલાઈ હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
દિવાલો પર ચિત્રનું શહેર એટલે અમદાવાદ!
નોંધનિય છે કે, આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે હાલ અમદાવાદ શહેરની સરકારી કે ખાનગી કોઇપણ મિલકતની દિવાલ જોશો તો રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નો દોરેલા નજરે ચઢશે. રાજકીય પક્ષોએ નિશાનથી દીવાલો ચિતરી દીધી હોવાથી હાલ શહેરની શોભાને ઝાંખપ લાગી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ...હેરિટેજ સિટી અમદાવાદ... એક સમયનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ... અમદાવાદ શહેરના અનેક હુલામણા નામો છે. આ નામોમાં હવે વધુ એક નામ ઉમેરાઇ રહ્યું છે. દિવાલો પર ચિત્રનું શહેર એટલે અમદાવાદ. તેવી સ્થિતિ જન્મી છે.
અમદાવાદ શહેરની મોટા ભાગની દિવાલો પર રાજકિય પક્ષોના ચિહ્ન દોરાયા
અમદાવાદના ચોરે અને ચોકે ભાજપ, વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચિહ્નો દેખાઇ રહ્યા છે. આ ત્રણેય પક્ષો દ્વારા અમદાવાદ શહેરની દિવાલો પર પોતાના ચૂંટણી ચિહ્ન દોરવામાં આવ્યા છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાત તમામ શહેરોમાં આવા ચિત્રો જોવા મળે છે. આ ચિત્રો માત્ર ખાનગી દિવાલો પર નથી. આ ચિત્રો અમદાવાદ મનપાની મિલકતો પર પણ ચીતરી દેવામાં આવ્યા છે. આમ વોલ પેઈટીંગથી સરકારી પ્રોપર્ટીઓને નુકસાન થતું હોવાથી લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.