હાલમાં રાજ્ય સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. દરરોજ સરકાર સામે નવા આંદોલન અને વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યા છે. જેમાં સામાજિક આંદોલનથી લઈ સરકારી કર્મચારી, કિસાન સંઘ, નિવૃત સેના જવાનોના આંદોલનનો મોરચો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. જેના દ્વારા સતત સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ મુદ્દે હવે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નિવેદન આપ્યું છે અને સરકાર પર આક્ષેપો કર્યા છે.
સરકાર જાણી જોઈને માંગ સ્વિકારતી નથીઃ વિપક્ષ નેતા
તેમણે જણાવ્યું કે, હાલમાં જે વિવિધ સંગઠનો મારફતે આંદોલન થઈ રહ્યા છે. તેમની માંગણીઓ માટે રેલીઓ થઈ રહી છે. તેમ છતાં આ સરકાર જાણી જોઈને કર્મચારીઓને બાજુ પર રાખીને પોતાનો આ 2022નો સમયગાળો છે એ પૂરો કરવા માગે છે.
પ્રશ્નોનો નિકાલ કરવાના મોડું કરવામાં આવી રહ્યું છેઃ રાઠવા
સુખરામ રાઠવાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઘણા બધા સળગતા પ્રશ્નો છે. સરકારી કર્મચારીઓને પેન્શન આપવાની યોજના હોય, પે-ગ્રેડ સુધારવાની વાત હોય, ખેડૂતોને વીજળી આપવાની વાત હોય. આવા જે પ્રશ્નો છે તેને સોટઆઉટ કરવાને બદલે ડિલે કરે છે. છેલ્લે તેમની જે માંગણીઓ છે, તેમાંથી એકાદ-બે માંગણી સંતોષીને આંદોલન સમેટી લેવા માટે પ્રયાસો કરે છે.
બે દિવસના ટુંકા સત્રને લઈ સરકાર પર કર્યા પ્રહાર
આ ઉપરાંત ગાંધીનગરમાં યોજાનારા બે દિવસના ટુંકા સત્રને લઈ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, અમારા તમામ ધારાસભ્યો લોકોના પ્રશ્નો ગૃહમાં રજૂ કરવાના હતા, પરંતુ રજૂ ન થાય એટલા માટે આ સરકારે પોતાનું વિધાનસભાનું સત્ર બે દિવસ માટે બોલાવીને પારદર્શી વહીવટીની વાતો કરનારી આ સરકાર ગુજરાતની પ્રજાના પ્રશ્નો હાઉસમાં નહીં આવે એના માટે માટે બે દિવસનું સત્ર બોલાવ્યું છે. એવા ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નોને લઈને અમારો કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં આક્રમક રજૂઆત કરવાનો હતો અને એ આક્રમકતાને ખાળવા માટે વિધાનસભાનું સત્ર ટૂંકુ રાખ્યું છે.