ગુજરાતમાં સતત ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદ પણ જાણે કે ગુનેગારોના હવાલે થઇ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યાં છે. શહેરમાં ખુલ્લેઆમ ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે.
અમદાવાદના ચાંદલોડિયામાં ખુલ્લેઆમ ફાયરિંગ
2 દુકાન માલિકો વચ્ચે થઇ હતી ઉગ્ર બોલાચાલી
સોલા પોલીસે કુલ 9 લોકોની અટકાયત કરી
અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટના એવી છે કે, ચાંદલોડિયામાં આવેલા રૂધર્મ કોમ્પલેક્ષમાં 2 દુકાન માલિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ડૉકટરને માર મારવામાં આવ્યો.
અમદાવાદના ચાંદલોડિયામાં ફાયરિંગ: 2 દુકાન માલિકો વચ્ચેની બોલાચાલીમાં ડૉકટરને માર પડ્યો, ડૉકટરના પિતાએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા સોલા પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી ડૉકટરના પિતા અને 8 લોકોની કરી અટકાયત#Ahmedabad#Firing@GujaratPolice
બે દુકાન માલિકોના ઝઘડામાં ડૉકટરના પિતાએ કર્યું ફાયરિંગ
મહત્વનું છે કે, ડૉકટરના નવા ક્લિનિકમાં ફર્નિચર કામ ચાલતું હતું. ત્યારે બાજુમાં આવેલી ખાલી દુકાનમાં લાકડા મૂકવામાં આવ્યા હતા. જેના લીધે દુકાન માલિકે આવીને ડૉકટર સાથે ઝઘડો કર્યો. બાદમાં 7થી 8 લોકોએ ભેગા થઇને ડૉકટરને માર માર્યો. આથી, ડૉકટર રાહુલ યાદવના પિતાએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનાર સતીષ યાદવ સિક્યુરિટી એજન્સી ચલાવે છે. જોકે 7થી 8 લોકોએ ભેગાં થઇને માર મારતા ઇજાગ્રસ્ત ડૉકટરને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. બાદમાં સોલા પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી ડૉકટરના પિતા અને 8 લોકોની અટકાયત કરી છે.
તાજેતરમાં જ ગાંધીનગરમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગાંધીનગરમાં બિજ નિગમની કચેરી બહાર ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી. જેમાં એક રાઉન્ડ ફાયરિંગ થતા ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. શહેરના ઈન્દ્રોડા વિસ્તારના એક વ્યક્તિનું ફાયરિંગમાં મૃત્યુ થયું હતું.
અમદાવાદના ગોમતીપુરમાં પણ થયું હતું ફાયરિંગ
તદુપરાંત થોડાક દિવસો અગાઉ જ અમદાવાદના ગોમતીપુરમાં પણ અડધી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને છરી વાગતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.