દેશની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાજ્યમાં જોરશોરથી ઉજવાવા જઈ રહી છે. સોનામાં સુગંધરૂપ તેમની જન્મતિથિએ દુનિયાના સૌથી મોટા સરદારના સ્ટેચ્યુનું પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે અનાવરણ થવા જઈ રહ્યું છે પરંતુ તે પહેલા રાજ્યમાં બે તબક્કામાં એકતાયાત્રા યોજવાનું નક્કી કરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યૂનિટીના લોકાર્પણ પૂર્વે રાજ્યમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી 20 ઓક્ટોબરથી એકતાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. સરદારના સંદેશા સાથે રાજ્યના દસ હજાર ગામમાં એકતાયાત્રા ફરશે જેમાં 50થી વધારે એકતારથ પરિભ્રમણ કરશે.
આ યાત્રા દ્વારા સરદાર સાહેબના વિચારોના આધારે જનજનમા રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજ્યમાં એકતાયાત્રા બે તબક્કામાં યોજાશે જેનો પ્રથમ તબક્કો 20 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યોજાશે. જ્યારે બીજો તબક્કો 12 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન યોજાશે.
રાજ્યામાં જ્યારે એકતા યાત્રા યોજાવાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રાજ્યની વર્તમાન સ્થિતિમાં ડોકીયું કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. કેમ કે જે સરદાર સામાજિક અને રાષ્ટ્રીય એકતાના આજીવન હિમાયતી રહ્યા તેમનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે અને તેમનો સંદેશ આજે ફરીવાર જનજનસુધી પહોંચાડવો પડે તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થઈ છે.
રાજ્યના પનોતા પુત્ર અને રાષ્ટ્રના એક મહાન સપૂત નામે સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેસશના પાંચસો કરતાં વધારે રાજાઓને રાષ્ટ્ર માટે એક કર્યા અને દેશને નવી દિશા આપી આજે એ સરદાર યાદ આવવા પાછળનું કારણ માત્ર સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું લોકાર્પણ નહી પરંતુ છેલ્લાં થોડા સમયથી રાજ્યના વિકાસના પાટા પરથી ખડીપડતી એકતા પણ નિમિત્ત બની છે.
રાજ્યાં છેલ્લા થોડા સમયથી અનેક વર્ગોમાં અસંતોષ ભભૂકી ઊઠયો છે. રાજ્યમાં દલિતોમાં થાનગઢ હત્યાકાંડ ઉના દલિત અત્યાચાર વખતે ભડકેલી અસંતોષની આગ હજુ સંપૂર્ણ રીતે ઓલવાઈન નથી ત્યાં સુપ્રીમ કોર્ટે એસસી એસટી અંગે આપેલા ચુકાદાએ દલિતોમાં અસંતોષની બળવત્તર બનાવ્યો છે.
જે રાજ્ય અને દેશની એકતાના પ્રયાસમાં બાધક બની રહી છે દલિતોએ આપેલ ભારત બંધના પરિણામો ઘણા નુકસાન કારક રહ્યા હતા. તો બીજી તરફ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની માગણીઓની આગ હજુ બુઝાઈ નથી. રાજ્યના એક વિશાળ વર્ગમાં અસંતોષની આ આગ હજુ ભભૂકી રહી છે.
છેલ્લે હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું અને રાજ્યમાં સર્વાંગ એકતાના સપના ચૂર-ચૂર થઈ થયા કેમ કે એક મોટો પાટીદાર સમૂદાય પોતાને અન્યાય થયાનું અનુભવી રહ્યો છે. એકતાના પ્રયાસો સામે વિખંડિત માટે નિમિત્ત બનતા સમુદાયોની સંખ્યા ઓછી નથી.
દલિતો પાટીદારો બાદ રાજ્યમાં ઠાકોર સમુદાય પણ અલગ પડતો જાય છે. આ સમુદાયને રોજગારી મુદ્દે અન્યાય થઈ રહ્યાનું લાગી રહ્યુ છે અને તેમના આ અંસતોષે તાજેતરમાં જે રાજ્યમાંથી બિનગુજરાતીઓને હિજરત કરવા ફરજ પાડી તેના કારણે સમગ્ર રાજ્યએ શરમથી માથુ ઝુકાવાની ફરજ પડી હતી કેમ કે એ ઘટનાની અસર સમગ્ર દેશમાં થઈ હતી અને રાજ્યની આબરુનું ધોવાણ થયુ હતું. આ ઘટના માત્ર ગુજરાતની જ નહી પરંતુ સમગ્ર દેશની એકતાને ડહોળનારી બની હતી.
રાજ્યમાં એકતાયાત્રા યોજવા પાછળનો ઉદેશ્ય ભલે 31 ઓક્ટોબરે યોજાનાર સ્ટેચ્યુ ઓફ યૂનિટીના લોકાર્પણ માટે જનમેદનીને તૈયાર કરવાનો હોય પરંતુ આ યાત્રા રાજ્યાં હાલમાં વિવિધ સમૂહોમાં પ્રવર્તતી નારાજગીને દૂર કરીને આંગણે આવેલો ઉત્સવસ નિર્વિંધ્ને પાર પાડવાનો પણ હોઈ શકે તેવું લાગી રહ્યું છે.