ગુજરાતના સુરતમાં હવે ડ્રેનેજ કામગીરી માટે રોબોટ ખરીદવાની કવાયત મનપાએ હાથ ધરી છે. આ પ્રકારના રોબોટ ખરીદવાનો હેતુ એ જ છે કે સુરતમાં ડ્રેનેજની સફાઈ માટેની કામગીરીમાં જાનહાનિને રોકી શકાય.
સુરતમાં ડ્રેનેજ કામગીરી માટે ખરીદાશે રોબોટ
કામદારોની જાનહાનિ રોકવા મનપાનો નિર્ણય
કેરળથી મનપા ખરીદશે રોબોટ
આપણા દેશમાં વર્ષ 2013થી મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર કાયદાથી પ્રતિબંધ મુકાયેલો છે. વળી ભારત સરકારે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન પણ શરૂ કર્યું હતું ત્યારે પણ આ વાતનો ખ્યાલ રખાયો હતો. જોકે તેમ છતાં પણ ગટર સાફ કરવા મેન હોલમાં ઉતરતા સફાઈ કામદારોના મોતની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે હવે સમયની એ જરૂરિયાત છે કે આ દિશામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. સમયની માંગને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ હવે ડ્રેનેજ સફાઈને માટે ઉકેલ શોધી કાઢ્યો છે.
ક્યાંથી મંગાવાશે ખાસ રોબોટ
મનપા કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી ડ્રેનેજ મેનહોલની સફાઈ માટે રોબોટ ખરીદશે. આ માટે મનપા 40 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. ઉલ્લેખનીય છે કે આ સફાઈ રોબોટ 25 ફૂટ ઉંડાઇ સુધી જઇને સફાઇ કરી શકાશે.