ભારતમાં સતત વધતા પ્રદૂષણ વચ્ચે દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને NGTએ મહત્વનો નિર્દેશ કર્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રદૂષણ મુદ્દે તાગ મેળવવો જરૂરી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઈને કર્યો મહત્વનો નિર્દેશ
તમામ રાજ્યો કોરોના મહામારીને લઈને હવાનું પ્રદૂષણ માપી લે- NGT
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે NCRમાં આજે મધ્યરાત્રીથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો
ભારતમાં કોરોના મહામારી વચ્ચે વર્ષનો સૌથી મોટા તહેવારની શરૂઆત થવા જઈ રહી છે. ઉલ્લાસના પર્વ દિવાળીમાં દર વર્ષે ભારતીયો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે ત્યારે આ વર્ષે પ્રદૂષણ અને મહામારીને ધ્યાનમાં રાખીને કેટલીક રાજ્ય સરકારો કડક થઇ ગઈ છે અને પ્રતિબંધ લગાવ્યો છે.
દિલ્લી અને રાજસ્થાન અગાઉથી જ ફટાકડા પર પ્રતિબંધ મુકી ચૂક્યા છે
ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવા માટે મંજૂરી આપવી કે નહીં તે મુદ્દે સરકાર હજુ પણ અવઢવમાં છે, સર્વોચ્ચ અદાલતનાં આદેશ અનુસાર દિવાળી ઉજવવા માટે કહેવામાં આવ્યું છે પણ સાથે સાથે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં નિર્દેશ મુદ્દે પણ સરકાર તરફથી નિવેદન આપવામાં આવી રહ્યા છે ત્યારે હવે આજે NGTએ આ મુદ્દે રાજ્ય સરકારને નિર્દેશ આપી દીધા છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ રાજ્યોને ફટાકડાને લઈને મહત્વનો નિર્દેશ કર્યો છે. NGTએ તમામ રાજ્યોને હવાનું પ્રદૂષણ માપી લેવા આદેશ કર્યા છે જ્યારે દિલ્હી-NCRમાં આજે મધ્યરાત્રીથી 30 નવેમ્બર સુધી ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો છે.
ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રદૂષણનો તાગ મેળવવો જરૂરી
નોંધનીય છે કે દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોએ તો પહેલા જ ફટાકડા પર પ્રતિબંધનો આદેશ આપી દીધો હતો જ્યારે હવે ગુજરાતમાં પ્રદૂષણ મુદ્દે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પ્રદૂષણનો તાગ મેળવવો જરૂરી બન્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ પછી ગુજરાતમાં પ્રદૂષણ મામલે ચોક્કસ આંકડા પણ જરૂરી બન્યા છે ત્યારે જે તે નિર્ણય હવે ગુજરાત પર આધારિત છે કે સરકાર ક્યારે નિર્ણય લે છે અને શું નિર્ણય લે છે.