જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને આજે સવારે મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયાથી ખસેડીને આઝાદ મેદાનમાં લઈ જવામાં આવ્યા છે. આજે સવારે ૭-૦૦ વાગ્યે પોલીસે દેખાવો કરી રહેલા તમામ વિદ્યાર્થીઓને પહેલાં શાંતિથી સમજાવ્યા હતા અને સ્થળ ખાલી કરવા જણાવ્યું હતું.
પોલીસના અનુસાર, વિરોધ પ્રદર્શનના કારણે લોકોને ઘણી તકલીફ પડી રહી છે
વિદ્યાર્થીઓને પોલીસે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને આઝાદ મેદાન ખાતે શિફ્ટ કર્યા
પોલીસના કહેવા પ્રમાણે, વિરોધ પ્રદર્શનના કારણે લોકોને ઘણી તકલીફ પડી રહી છે. જ્યારે વિદ્યાર્થીઓ પોલીસની વિનંતી ન માન્યા ત્યારે તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને આઝાદ મેદાન ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી પણ કરી હતી.
પ્રદર્શનકારીઓને ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે દેખાવો કરવાની મંજૂરી નહોતી. આ કારણે તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. આજે સવારે પોલીસ જ્યારે દેખાવો કરતા વિદ્યાર્થીઓને હટાવવા માટે પહોંચી ત્યારે તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.
ગઈકાલે સાંજે ગેટ વે ઓફ ઈન્ડિયા પર વિરોધ પ્રદર્શન દરમિયાન 'ફ્રી કાશ્મીર'નાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. એક મહિલા પ્રદર્શનકારી હાથમાં 'ફ્રી કાશ્મીર' નાં પોસ્ટર સાથે જોવા મળી હતી. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનતા મુંબઈ પોલીસ દબાણમાં આવી ગઈ છે. આ પોસ્ટરને કારણે અહીંનું વાતાવરણ ખરાબ થવાની શક્યતા વધી ગઈ હોવાથી પોલીસે વહેલી સવારે કાર્યવાહી કરી હતી.