ભારતને આર્થિક ક્ષેત્રે વધુ એક ઝાટકો લાગ્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે ભારતની ફોરેન અને લોકલ કરન્સીનું ઈશ્યુઅર રેટિંગ Baa2 થી ઘટાડીને Baa3 કરી દીધું છે.
મૂડીઝ મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે ભારતની ફોરેન અને લોકલ કરન્સીનું ઈશ્યુઅર રેટિંગ Baa2 થી ઘટાડીને Baa3 કરી દીધું છે. આ માટે મૂડીઝના સત્તાવાર નિવેદન પ્રમાણે 3 કારણો આપવામાં આવ્યા છે.
1. મૂડીઝના મતે ભારતની પોલિસી મેકિંગ સંસ્થાઓ જેવી કે RBI વગેરે સંસ્થાઓ માટે દેશમાં ઓછી આર્થિક વૃદ્ધિનું જોખમ ઘટાડતી પોલિસીનું અમલીકરણ કરવું મુશ્કેલ બન્યું છે.
2. દેશની સામાન્ય સરકારી આર્થિક સ્થિતિ કથળી છે.
3. દેશનું આર્થિક ક્ષેત્ર સંકટમાં મુકાયું છે.
ઈશ્યુઅર રેટિંગ શું છે?
ઈશ્યુઅર રેટિંગ એ જે તે દેશ અથવા કંપનીનો એ ઇન્ડેક્સ છે જે દર્શાવે છે કે આ કંપનીમાં રોકાણ કરવું, તેને લોન આપવી કેટલી સુરક્ષિત છે. આ ઇન્ડેક્સ પ્રમાણે બહારના દેશો અથવા કંપનીઓ જે તે દેશમાં કે કંપનીમાં રોકાણ કરવું કે નહીં કે વ્યાપાર કરવો કે નહીં તેનો નિર્ણય કરે છે.
મૂડીઝનો આ નકારાત્મક ઇન્ડેક્સ સૂચવે છે કે દેશમાં ચાલી રહેલો આર્થિક અને નાણાકીય તણાવ ભવિષ્યમાં મૂડીઝે આપેલા સંભવિત આંકડાઓ કરતા વધુ વિકટ હોઈ શકે છે.
નોંધનીય છે કે નવેમ્બર 2017માં મૂડીઝે સુધારીને ભારતનું રેટિંગ Baa2 કર્યું હતું. આ પાછળ મૂડીઝનો તર્ક હતો કે દેશના અર્થતંત્રમાં થયેલા સુધારાઓ અસરકારક રીતે અમલીકરણમાં મુકાશે તો તેનાથી દેશની ક્રેડિટ પ્રોફાઈલ સુધરશે અને દેશમાં તબક્કાવાર આર્થિક અને નાણાકીય સુધારા આવશે. જો કે મૂડોઝના મતે ત્યાર પછી આ સુધારાઓનું અમલીકરણ બિનઅસરકારક અને નબળું રહ્યું છે અને તેનાથી દેશની ક્રેડિટમાં ધાર્યા હતા એવા સુધારા થયા નથી.
આ ધોવાણ માટે કોરોના જવાબદાર પણ સંપૂર્ણપણે નહીં
મૂડીઝે એમ પણ કહ્યું છે કે આ ઘટાડા માટે કોરોના સંકટ ચોક્કસ જવાબદાર છે પરંતુ ભારતની ક્રેડિટ પ્રોફાઈલ પહેલેથી જ નબળી હોવાથી કોરોનાનો ઝાટકો ભારતના અર્થતંત્રને વધુ મજબૂત રીતે ફટકારશે તેવી સંભાવના જણાઈ રહી છે. આ કારણે ભારતના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે.