કોંગ્રેસ સાથે છેડો ફાડનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવાની અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરે કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં એલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, હમણાં કોર્ટ મેટર શરૂ છે એટલે વધારે નહીં બોલુ. પાર્ટીના તમામ હોદા પરથી રાજીનામું આપવાની વાત કરી હતી. જે પ્રજાના મતોથી વિજય બન્યો તેના માટે રાજીનામું ન આપી શકું. કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગેસની મારી સામે આક્ષેપો કરવાની નીતિ રહી છે. કોંગ્રેસ હારની જવાબદારી પણ લેતા નથી. કોંગ્રેસ ન્યુઝમાં રહેવા માટે બધુ કરે છે. કોંગ્રેસ હારની જવાબદારી EVM પર ફોડે છે. ભાજપ જીતે ત્યારે EVM ખામી બતાવે છે. કોંગ્રેસમા સંગઠનમા કામ કરવા નેતાને હેરાન કરવામા આવે છે. લોકસભામાં હાર બાદ મને ટાર્ગેટ કરવામા આવ્યો છે. કોંગેસના સભ્ય પદમાંથી રાજીનામું આપ્યું નથી. પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા ઘરે આવીને કહે તો રાજીનામું આપી દઈશ. કોંગ્રેસના નેતાઓ પોતાની ખુરશીની ચિંતા કરે છે.
તો વિધાનસભાના અધ્યક્ષ તરફથી વકીલ કમલ ત્રિવેદીએ પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ તરફથી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતા કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નિર્ણય પ્રક્રિયામાં જ્યુડિશિયલ રીવ્યુને કોઇ અવકાશ નથી. વિધાનસભાના કાર્યક્ષેત્રમાં કોર્ટના હસ્તક્ષેપને અવકાશ નથી.
મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા જ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામાંને લઇને વિવાદ જાગ્યો હતો. જેને લઈને કોંગ્રેસે પક્ષાંતર ધારા અંતર્ગત અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી. જોકે, અધ્યક્ષે કાર્યવાહી ન કરતા કોંગ્રેસે હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.