ભારતમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા કરવામાં આવી છે જેમાં ઘણા બધા રાજ્યોએ શાળાઓ ખોલી દેવાનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ મિઝોરમમાં સરકારને શાળાઓ ખોલવી ભારે પડી જેના કારણે દસ જ દિવસમાં નિર્ણય પાછો લેવો પડ્યો છે.
16મી ઓક્ટોબરે શાળાઓ ખોલવા આપ્યા હતા આદેશ
26મી ઓક્ટોબરથી ફરીથી શાળાઓ બંધ કરી દેવામાં આવશે
મિઝોરમમાં અત્યાર સુધી કોરોના વાયરસથી એક પણ મોત નથી થઇ
શાળાઓ ફરીથી 'લૉક'
મિઝોરમ સરકારે ફરી એકવાર બધી જ શાળાઓને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક પ્રક્રિયાના કારણે 16મી ઓક્ટોબરના રોજ શાળાઓને ખોલી દેવામાં આવી હતી પરંતુ તે બાદ રાજ્યમાં કોરોના વધુ વકર્યો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વાયરસની ઝપેટમાં આવી ગયા. એવામાં સરકારે તાબડતોડ ફરીથી શાળાઓને બંધ કરી દીધી છે.
રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં
રાજ્યમાં શાળાઓ ખોલ્યા બાદ અચાનક જ કેસ વધવાના કારણે 26 ઓક્ટોબરથી ફરીથી શાળાઓ બંધ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે મિઝોરમ ભારતનું એવું રાજ્ય છે જ્યાં કોરોના વાયરસના કારણે એક પણ મોત થઇ નથી.
150 એક્ટિવ કેસ
હાલમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ 2300ને પાર થઇ ગયા છે અને સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે અઈઝોલમાં જ નવા 15 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આશરે 150 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 2100થી વધારે દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.