ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા મહત્વનો નિર્ણય લેવાયો છે. CR પાટીલે પોતાની સુરત ઓફિસે માલધારી આગેવાનો સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં સી.આર પાટીલે માલધારી સમાજના આગેવાનોને બાંહેધરી આપી હતી કે, 'દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે.' આ મામલે CR પાટીલ સરકારમાં પ્રસ્તાવ મૂકી ડિમોલિશનની કામગીરી બંધ કરશે. સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં સાંજ સુધી આંદોલન સમેટાશે.
તમને જણાવી દઇએ કે, સુરતમાં તબેલા પર બુલડોઝર ફેરવવા મામલે બાવળિયાળી મંદિરના મહંત રામ બાપુ માલધારીઓના સમર્થનમાં હતા. માલધારીઓ સાથે રેલી લઈ ડભોલી સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ પહોંચ્યા હતા. છાપરાભાઠા રોડ અમરોલીથી રેલી નીકાળવામાં આવી હતી. ડભોલી રોડ થઇને માલધારીઓની રેલી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી.
રખડતા પશુ પકડવાની કામગીરીને માલધારીઓએ વખોડી
અત્રે મહત્વનું છે કે, રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસ વચ્ચે માલધારીઓએ આજે રેલી કાઢી હતી. સરકારની રખડતા પશુ પકડવાની કામગીરીને માલધારીઓએ વખોડી કાઢી હતી. જોકે, અહીં માલધારી સમાજના વલણ સામે પણ સવાલ ઊભા થઇ રહ્યાં છે. કારણ કે એક તરફ વહીવટીતંત્ર ઢોર પકડે છે અને માલધારીઓ તેની કામગીરી વખોડે છે. માલધારીઓનું વલણ 'ઉલ્ટા ચોર કોટવાળને દંડે જેવું' છે. માલધારીઓનું કહેવું એમ છે કે, સત્તાધીશો યોગ્ય નિરાકરણ ન લાવી શક્યા.
11 માંગો સાથે માલધારી વેદના રેલીનું આયોજન કરાયું
અમદાવાદ સહિત રાજ્યભરમાં માલધારી મહા પંચાયત દ્વારા માલધારી વેદના રેલી કાઢવામાં આવી. 11 માંગો સાથે માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું. શહેરોમાં નવા ગામડાઓ ન ભેળવવાની માલધારીઓની માંગ છે. ત્યારે અમદાવાદમાં આજે બાપુનગરથી છેક લાલ દરવાજા સુધી રેલી નીકાળવામાં આવી. માલધારી વસાહતો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી તેમજ ધાસચારો બંધ કરાવવાનું જાહેરનામું પરત ખેંચવાની માલધારીઓ માંગ કરી રહ્યાં છે.