આજે ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે પતંગ-દોરીની ખરીદીની સાથે માર્કેટમાં ઉંધિયું-જલેબી તેમજ બલૂન લેવા પણ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ઉંધિયું-જલેબી લેવા માટે લોકો લાઇનમાં લાગી ગયા છે.
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી
પતંગ-દોરીની સાથે માર્કેટમાં ઉંધિયું-જલેબી લેવા લોકોનો ધસારો
ગુજરાતભરમાં આજે મકરસંક્રાતિ (ઉત્તરાયણ) ની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે. એમાંય વળી હવામાન વિભાગે 15થી 20 કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિની આગાહી કરી છે. ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી સાથે ઉંધિયા માર્કેટમાં પણ લોકોનો વહેલી સવારથી ધસારો જોવા મળ્યો છે.
અત્યારે અમદાવાદમાં પ્રતિ કિલોએ રૂપિયા 250થી 450 ઉંધિયાનો ભાવ ચાલી રહ્યો છે. ઉંધિયા સાથે જલેબી અને લીલીવાની કચોરીની પણ માર્કેટમાં આજે વધારે માંગ છે. ઉંધિયું અને જલેબી લેવા લોકોએ વહેલી સવારથી જ લાઈન લગાવી દીધી છે. જણાવી દઇએ કે, દર વર્ષે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં લાખો કિલો ઉંધિયાનું વેચાણ થાય છે.
રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી છે. આજે ભગવાન જગન્નાથનો વિશેષ શણગાર કરાયો છે. ભગવાન જગન્નાથજીને આજે સોનાનો શણગાર કરાયો છે. બહેન શુભદ્રા અને ભાઈ બલરામને પણ સોનાનો શણગાર કરાયો છે. દાન-પુણ્ય કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો આજે ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા છે.
આજે રાત્રે સૂર્ય પ્રવેશ કરશે મકર રાશિમાં
આજે રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ તહેવાર બીજા દિવસે સૂર્યોદય સાથે ઉજવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, ઉત્તરાયણના દિવસે ગંગા સ્નાનનું પણ અનેરું મહત્વ છે. ગંગામાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવાની અનોખી પરંપરા છે.