અત્યારે જ્યારે સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આપણને થોડી પણ બીમારી આવે તો ડરી જવાય છે. એવામાં રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને નાની-નાની સમસ્યાઓને દૂર કરી શકાય છે. તમે ઘરે જ લીંબુ અને કાળા મરીના કેટલાક નુસખાઓ અપનાવી તમારી નાની-નાની તકલીફોને દૂર કરી શકો છો. ચાલો જાણીએ.
લીંબુ
લીંબુના રસમાં મધ મેળવી મોં પર લગાવવાથી મોં પરના ખીલમાં લાભ થાય છે અને નેચરલ બ્લીચની ઈફેક્ટ દેખાય છે.
જે સ્ત્રીઓને વધુ પડતો રક્તસ્ત્રાવ અથવા લોહીવાળા હરસ-મસાની સમસ્યા હોય તેમણે 1 કપ નવશેકા દૂધમાં અડધું લીંબુ નિચોવી દૂધ ફાટે તે પહેલાં જ પી જવું. આ પ્રયોગ સવારે ખાલી પેટે અથવા ઋતુસ્ત્રાવ વખતે ક્યારે પણ કરી શકો છો. આનાથી રક્તસ્ત્રાવમાં તરત જ લાભ થશે. આ ઘણો સફળ પ્રયોગ છે. 3-4 દિવસ સુધી જરૂર કરો. જો લાભ ન થાય તો ચોક્કસથી ડોક્ટરને બતાવો.
10 મિલી લીંબુના રસમાં 20 મિલી ડુંગળીનો રસ તથા ઇચ્છા મુજબ મધ મેળવી પીવાથી લીવરના રોગ, મંદાગ્નિ તથા અજીર્ણમાં લાભ થાય છે.
લીંબુના રસમાં થોડો આદુ તથા થોડું મીઠુ મેળવી ભોજન સાથે લેવાથી ભૂખ વધે છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે.
ગાડીમાં મુસાફરી કરતી વખતે જેઓને ઊલટી થતી હોય અથવા તો ઊબકાં આવતા હોય તો તેમણે લીંબુ પર થોડું મીઠું ચોપડી ચૂસવાથી લાભ થશે.
કાળામરી
ઉધરસ વધુ હોય અને ઊંઘી ન શકતા હો તો મરીના એકાદ દાણાને મોંમાં મૂકી ચૂસતા રહો. ઉધરસમાં આરામ મળશે તથા ઉંઘ પણ સારી આવશે.
થોડો આદુ તથા 3-4 મરી મેળવી ઉકાળો બનાવી પીવાથી તરત ઉધરસમાં લાભ થશે. ચાને બદલે આનો પ્રયોગ કરી શકો છો.
શીતપિત્ત થયું હોય તો 4-5 કાળમરી વાટી તેમાં એક ચમચી હૂંકાળું ઘી તથા ખાંડ મેળવીને પીવાથી લાભ થાય છે.
ઉધરસ તથા તેની સાથે નબળાઈ પણ લાગતી હોય તો 20 ગ્રામ મરી, 100 ગ્રામ બદામ, 150 ગ્રામ ખાંડ અથવા સાકર મેળવી તેને દળીને પાવડર બનાવી શીશીમાં ભરી લો. 1 ગ્રામ જેટલું સવાર-સાંજ ગરમ દૂધ કે પાણી સાથે લેવાથી જૂની ઉધરસ મટી જશે. તેનાથી નબળાઈમાં પણ લાભ થાય છે.
હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંધવાથી લાભ થાય છે.