4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના શરુઆતી પરિણામથી બીજેપીના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. ઉત્તરાખંડ, ગોવા, ઉત્તરપ્રદેશ અને મણિપુરમાં ભાજપના પ્રદર્શનને લઇને કમલમમાં ઉજવણીનો તૈયારીઓ કરવામાં આવી રહી છે. બપોરે 1.30 કલાકે કમલમ ખાતે વિજ્યોત્સવ મનાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ ખાસ હાજરી આપશે. 12 વાગ્યા સુધીના પરિણામો પર નજર કરીએ તો યુપીમાં ભાજપ 271, ગોવામાં 17, મણિપુરમાં 25 અને ઉત્તરાખંડમાં 47 સીટમાં ભાજપ આગળ ચાલી રહી છે.
4 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવશે: CM ભૂપેન્દ્ર પટેલ
ચારેય રાજ્યોમાં ભાજપની બહુમતી જોતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખુશખુશાલ જણાયા. તેઓએ જણાવ્યું કે 4 રાજ્યોના પરિણામોમાં ભાજપ આગળ છે, 5 રાજ્યોમાંથી 4 રાજ્યોમાં ભાજપ બહુમતીથી સરકાર બનાવશે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કાર્યકર્તાઓની અથાગ મહેનતનું પરિણામ છે.
ઉત્તરપ્રેદશમાં અનેક વર્ષો પછી પહેલીવાર સરકાર રિપીટ થઇઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 5 રાજ્યોના ચૂંટણી વલણો પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અનેક રાજ્યોમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ઉત્તરપ્રેદશ , મણિપુર, ઉત્તરાખંડ હોય કે પછી ગોવા. તમામ જગ્યા પર બીજેપી દ્વારા લોકો માટે જે કામગીરી કરવામાં આવી તેના માટે લોકોની જે લાગણી અને પ્રેમ હતો તે આજના રિઝલ્ટમાં જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોના નાગરિકોનો પીએમ મોદી અને ભાજપ પર કાયમ વિશ્વાસ નજરે પડી રહ્યો છે. તો યુપીમાં ફરીવાર સરકાર બનતા તેઓએ જણાવ્યુ કે યુપીમાં અદભૂત કામગીરી થયેલી છે. ગુંડારાજ ખતમ કરવાનું કામ બીજેપીએ કર્યું છે. સરકારી સ્કીમોના માધ્યમથી ગરીબોના વિકાસનુ કામ બીજેપીએ કર્યું છે. અનેક વર્ષો પછી પહેલીવાર આ એવી સરકાર છે જે રિપીટ થઇ છે જે દર્શાવી રહ્યું છે કે બીજેપી અને આ દેશના લોકો વચ્ચે અતૂટ વિશ્વાસ છે. આ પ્રેમ હરહંમેશ રહેશે.
ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશે: AAP નેતા ઈસુદાન ગઢવી
પંજાબમાં AAPની જીત પર ગુજરાત AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, આ આમ આદમીની જીત, અરવિંદ કેજરીવાના મોડલને લોકોએ સ્વીકાર્યું. કોંગ્રેસ તો ખતમ થઈ ગઈ છે, ગુજરાતમાં અમારી લડાઈ ભાજપ સામે છે. ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તેઓએ જણાવ્યુ હતુ કે ગુજરાતની જનતાએ નક્કી કરી લીધુ છે કે હવે આમ આદમી પાર્ટી. જનતા મોકો આપશે તો અમે કામ કરી બતાવીશું.