ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં મગફળી કાંડ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં 4 હજાર કરોડનું મગફળી કાંડ થયો છે. મગફળીમાં માટી-પથ્થર નીકળે છે પરંતુ સરકાર દોષિતો સામે પગલા ભરતી નથી.
ત્યારે સરકાર દ્વારા જવાબદારો સામે સખત પગલા ભરવામાં આવે તેવી માગ કરાઇ રહી છે. આ ઉપરાંત શિક્ષણ વ્યવસ્થાને લઇ પરેશ ધાનાણીએ કહ્યું કે, શિક્ષણમાં કરોડો રૂપિયાનું બજેટ છતાં સ્તર નીચું જઇ રહ્યું છે. 2017થી અત્યાર સુધીમાં 17 હજાર પ્રાથમિક શાળા બંધ થઇ છે અને ખાનગી શાળાઓનું પ્રમાણ વધ્યું છે.
ગુજરાતનું ભાવિ ખાનગી શાળામાં જઇ રહ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને લઇ કહ્યું કે, ચૂંટણી પહેલા ખેડૂતોને 2 હજાર આપવાની વાત હતી પરંતુ તેમને મળ્યા નથી. જ્યારે ખાતર,વીજ, સિંચાઇ સહિત ખેડૂતના ઓઝારો પર ભાવ વધારો કરી દેવાયો છે. રાજ્યમાં વીજ ઉત્પાદનનું પ્રમાણ વધવા છતાં ખેડૂતોને વીજળી નથી મળતી.
આમ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ મગફળીકાંડને લઇને સરકારને ઘેરી તેમજ ખેડૂતો અને શિક્ષણ વ્યવસ્થાનો મુદ્દો વિધાનસભામા ઉઠાવ્યો.
વિધાનસભાના વિપક્ષના નેતાએ નિવેદન આપતાં કહ્યું કે લોકસભામાં પ્રજાના ચુકાદાને અમે સ્વીકારી છીએ. ચાણક્યએ કહ્યું હતું કે રાજ્યમાં નાણાંકીય સુવિધા પાયાનો સિદ્ધાંત છે. રાજ્ય સરકારે 2 લાખ કરોડનું બેજટ આપ્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે બજેટમાં વધારો કરતી જાય છે. રાજ્ય સરકારની નિષ્ફળ નીતિના કારણે ગુજરાતનો ગ્રોથ અટક્યો છે.