કોરોના વાયરસ વચ્ચે દેશ પર બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે. તેવામાં હવે કચ્છના અંજાર નજીક ભીમાસર ગામના ચકાચર તળાવમાં 38 જળચર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે.
અંજાર નજીક ભીમાસર ગામનો બનાવ
તળાવમાં જળચર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા
ચકાસર તળાવમાંથી 38 જળચર પક્ષીના મૃતદેહ મળ્યા
ગત 5 જાન્યુઆરીએ જૂનાગઢના માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો હતો. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે હવે અંજાર નજીક ભીમાસર ગામના ચકાચર તળાવમાં જળચર પક્ષીઓના મોટી સંખ્યામાં મૃતદેહ મળી આવ્યા છે. બર્ડ ફ્લૂની દહેશતની વચ્ચે 38 જેટલા જળચર પક્ષીઓના મોતને લઇને વન વિભાગ અને પશુ વિભાગ દોડતું થયું છે. હાલ એક પક્ષીને સેમ્પલ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે. બાકી પક્ષીઓના ગ્રામજનો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં પ્રતિબંધ
ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો છે. જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને બાટવા ખારા ડેમ નજીક જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એક કિમી આસપાસના વિસ્તારમાં જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. પક્ષીઓની આંખ લાલ થઇ જવાના લક્ષણો જોવા મળ્યા હતા. માણસોને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે જેને કારણે મરઘા ઉછેર કેન્દ્રમાં થતી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકાયો છે. ઇંડાનું વેચાણ, મરઘાં કાપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં પણ મરઘાની હેરાફેરી પર પણ પ્રતિબંધ લગાવાયો છે.
માનવી માટે ખતરનાક
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.