રાજકોટના વિંછીયામાં વિદ્યાર્થિનીના આપધાત મામલે મોટું અપડેટ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, થોડાક દિવસો અગાઉ રાજકોટના વિંછીયામાં આવેલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના શૈક્ષણિક સંકૂલ આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો. જે બાદમાં હવે કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુકેશ રાજપરાએ આ પત્રમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાને શંકાસ્પદ ગણાવી છે. આ સાથે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના શૈક્ષણિક સંકૂલમાં વિદ્યાર્થીનીના આપઘાત બાદ ચકચાર મચી ગઈ છે. આ તરફ વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાને શંકાસ્પદ ગણાવી હવે કોળી વિકાસ સંગઠન મેદાનમાં આવ્યું છે. ધો-10માં ભણતી કાજલ જોગરજીયાએ આગામી કારણોસર આદર્શ સ્કૂલના કેમ્પસમાં આત્મહત્યા કરી લીધા બાદ કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
વિગતો મુજબ રાજકોટના વિંછીયામાં આવેલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના શૈક્ષણિક સંકૂલ આદર્શ સ્કૂલમાં 23 જાન્યુઆરીએ આપઘાતની ઘટના સામે હતી. જેમાં ધો-10માં ભણતી કાજલ જોગરજીયાએ સ્કૂલ કેમ્પસમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતક વિદ્યાર્થીનીની લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી હતી.
કોળી વિકાસ સંગઠનનો CMને પત્ર
આ તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના શૈક્ષણિક સંકૂલ આદર્શ સ્કૂલમાં ધો-10માં ભણતી કાજલ જોગરજીયાની આપઘાતની ઘટનાને લઈ કોળી વિકાસ સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ પત્રમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાને શંકાસ્પદ ગણાવી છે. આ સાથે વિદ્યાર્થિનીની આત્મહત્યા અંગે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
શું કહ્યું કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ ?
સમગ્ર મામલે કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ કાજલ જોગરજીયાની આત્મહત્યાને લઈ અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, રાત્રિના સમયે કાજલ જોગરજીયાએ આપઘાત કર્યાની તેમના પિતાને જાણ કરાઇ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જો દીકરીએ આત્મહત્યાના કરી હોય તો આત્મહત્યાના સ્થળે પોલીસને નથી જવા દીધી. આ સાથે તેમણે કહ્યું કે, અગાઉ પણ આ જ સંસ્થામાં બે દીકરીઓએ આત્મહત્યા કરી છે. દરેક વખતે આવા કઇંક ને કઇંક બનાવ બને છે.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી: મુકેશ રાજપરા
આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથળેલી હાલતમાં છે અને સામાન્ય જનતા માટે જ કાયદો બન્યો હોય એવું લાગે છે. જ્યારે સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને રાજકીય નેતાઓને ત્યાં આવા કોઈને કોઈ બનાવ બને ત્યારે એને નજરઅંદાજ કરવામાં આવે છે, પોલીસ પણ સ્પોર્ટ કરતી નથી. ત્યારે અમારી એક માંગણી છે કે, ખરેખર આ ઘટનાની સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરવામાં આવે.
આમરણાંત ઉપવાસની ચીમકી
કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરાએ કહ્યું કે, આ ઘટનાની તટસ્થ તપાસ કરી ઊંડાણપૂર્વક તપાસ બાદ આનું જે પણ કારણ-તારણ હોય તે બહાર લાવવામાં આવે. અન્યથા અમે આમરણાંત ઉપવાસ આંદોલન કરી ન્યાય માટે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરી જે પણ દોષિત છે એને અમે સજા અપાવવાના પૂરા પ્રયાસ કરીશું.