પાટીદાર અગ્રણી નરેશ પટેલનો પોલિટિક્સ પ્રવેશનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. ત્યારે હવે તેમના રાજનીતિમાં પ્રવેશને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઈ મોટા સમાચાર
હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે લેશે નિર્ણય: સૂત્ર
અગાઉ 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની કરી હતી વાત
'હું સમાજ કહેશે તો જ રાજનીતિમાં પ્રવેશ કરીશ' આવું કહેનારા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જોડવાને લઇને સંતાકૂકડી રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નરેશ પટેલ કોંગ્રેસના સંપર્કમાં હોવાનું અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હોવાની ચર્ચા વચ્ચે હવે નરેશ પટેલ એપ્રિલ મહિનામાં કોઈ પક્ષમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ પટેલે હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લેશે. આ અગાઉ 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી. પરંતુ બિઝનેસના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થયો છે. જો કે, થોડા દિવસોમાં મોટી સભા બાદ નિર્ણય જાહેર કરી શકે છે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવા નિવેદન પણ આપી રહ્યા છે કે તેઓ અમારી પાર્ટીમાં જોડાશે. તો કોઇ નેતા તેમના પર કટાક્ષ પણ કરી રહ્યા છે. નરેશ પટેલ સમાજને પૂછીને કોઇ પક્ષમાં જોડાશે તેવું ભણી રહ્યા છે. તો કેટલાક પાટીદાર સમાજના અગ્રણીઓ નરેશ પટેલ પર આક્ષેપો પણ લગાવી રહ્યા છે કે તેઓ સમાજને હાથો બનાવી રહ્યા છે. તેવામાં હવે તે એપ્રિલ મહિનામાં કોઇ નિર્ણય લેશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.