માણાવદરના દિગ્ગજ નેતા નીતિન ફળદૂ અને જવાહર ચાવડા વચ્ચે ખટરાગ સર્જાતા નીતિન ફળદૂએ રાજીનામું ધરી દીધું છે. નીતિન ફળદૂએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખ્યો છે. જેમાં નીતિન પટેલે જવાહર ચાવડાનો સ્પષ્ટ વિરોધ કર્યો છે.
પાટિલને લખેલા પત્રમાં પાટીદાર સમાજ સાથે અન્યાયની વાત કરવામાં આવી છે. નીતિન ફળદૂએ કહ્યું કે, માણાવદરના MLAને ભાજપમાં લઇ મોટું પાપ થયુ છે. પાર્ટીમાં પાટીદાર સમાજને મોટુ નુકસાન ચાલી રહ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાનું અભિયાન યોગ્ય છે. પાટીદાર સમાજમાં અભિયાન શરૂ કર્યુ તે ગંભીર નિર્ણય. કોંગી પાટીદાર નેતાઓને ટિકિટની શરતે ભાજપમાં પ્રવેશ થાય છે. લાલચુઓને ટિકિટ આપવાની શરતે ભાજપમાં જોડ્યા છે.
શું લખ્યું પત્રમાં?
નીતિન ફળદુએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને કહ્યું કે, હું નીતિનકુમાર ફળદુ જૂનાગઢ જીલ્લામાં જાહેર જીવન, સમાજ સેવા, ધર્મ સેવા, જેવા કાર્યમાં જોડાયેલો પાટીદાર યુવાન છું. હું 2015ની જીલ્લા પંચાયત ભાજપમાંથી ચૂંટણી લડેલ છું.
વધુમાં તેમણે લખ્યું કે, છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટી દ્વારા કડવા પટેલ સમાજને અન્યાય થતો હોય તેના ચોકકસ કારણો ઘણા સમયથી જાણવા મળેલ છે. પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકાર જીલીને પણ ભાજપ પાર્ટી સાથે રહ્યો હતો. તેમ છતાં જિલ્લા સંગઠન તથા ચુંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખુબ મોટું નુકસાન ચાલી રહ્યુ છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચું વ્યક્તિઓ આજે તે જ લોકો ભાજપ પાર્ટીમાં ટીકીટ આપવાની શરતે જોડાયેલા હોય એ ખુબ દુ:ખની બાબત છે.
ભાજપ પાર્ટીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યુ તે યોગ્ય છે. પણ પાટીદાર સમાજમાં આ અભિયાન શરૂ કર્યુ તે ખુબ ગંભીર નિર્ણય છે. ગુજરાત આખામાં કેટલાય યુવાનો છે જેને યુવા મોરચાથી પોતાની કારકિર્દી બનાવી અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દાવેદારી નોંધાવવાના છે. તે યુવાનોને આ જિલ્લામાં કે રાજ્યમાં પાટીદાર સમાજના યુવાનને ટીકીટ ન મળે અને લાલચું લોકોને ટીકીટ મળે તેનો ખુબ જ ખ્યાલ રાખવો જરૂરી છે.
પત્રમાં વઘુમાં જણાવ્યું કે, ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી સૌથી વઘારે નરેન્દ્ર મોદી સાહબેને અપશ્બદો કહેવા અને નામ ખરાબ કરવું તેવા ધારાસભ્યને ભાજપમાં લઇ ખુબ મોટું પાપ થયુ છે. આ ધારાસભ્ય હાલની પરિસ્થિતિએ પોતાની વિઘાનસભામાં સ્વતંત્ર અઘિકાર આપી ભાજપ પાર્ટીએ ભુલ કરી છે. સંગઠનના કાર્યક્રમો, ખાતમુર્હતના કાર્યક્રમો તેમજ અન્ય કોઇપણ જાહેર કાર્યક્રમોમાં જિલ્લા સંગઠન, ભાજપ પાર્ટીના દરેક સમાજના આગેવાનો તથા કોઇપણને જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવે છે. ભાજપમાં આ ધારાસભ્યને કારણે જુથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે. રાજીનામું આપવાનાં ઘણા બઘા કારણો છે કે આવનારા સમયમાં ભાજપ પાર્ટીને નડતરરૂપ થશે. આ બઘી બાબતોને ઘ્યાને લઇને મારૂ રાજીનામું સ્વીકારવા નમ્ર અરજ છે.