સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ઐતીહાસિક જીત અપાવ્યા બાદ કેપ્ટન ઉનડકટે રવિવારે પોતાના જીવનનો મોટો નિર્ણય લીધો છે. હાલમાં જ સૌરાષ્ટ્રની ટીમ જયદેવની આગેવાની હેઠળ રણજીમાં ચેમ્પિયન બન્યું છે ત્યારે હવે તેમણે સગાઇ કરી લીધી છે. સગાઇની ખબર આવ્યા બાદ દેશભરથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સગાઇની આપી જાણકારી
ચેતેશ્વર પૂજારા પણ સગાઈમાં સામેલ થયા
ચેતેશ્વર પૂજારાએ આપી શુભકામનાઓ
રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ક્રિકેટર જયદેવ ઉનડકટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સગાઇની જાણકારી આપી હતી. તેમના મંગેતરનું નામ રીન્ની છે. પોરબંદરમાં જન્મેલા આ ખેલાડીએ કહ્યું હતું કે તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે થનગની રહ્યા છે. તેમણે પોતાની સગાઇમાં ચેતશ્વર પૂજારાને પણ બોલાવ્યા હતા. ઉનડકટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી ફોટો શેર કરીને સગાઇની જાહેરાત કરી છે. પૂજારાએ પણ ફોટો પોસ્ટ કરીને કપલને શુભકામનાઓ પાઠવી છે.
રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન
હાલમાં યોજાયેલી રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન બની હતી. સૌરાષ્ટ્રની ટીમે જયદેવ ઉનડકટની આગેવાનીમાં બંગાળને હરાવી હતી. ઉનડકટે આ સીઝનમાં કુલ 67 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેઓ રણજી ટ્રોફીમાં એક એક સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયા.
ઉનડકટ અને પૂજારા વચ્ચે ભાઈબંધી જગજાહેર છે. ઉનડકટ પોતે આ વાતનો સ્વીકાર ઘણીવાર કરી ચુક્યા છે. ત્યારે ચેતેશ્વર પૂજારાએ શુભકામનાઓની સાથે રીન્નીને ચેતવણી પણ આપી છે કે હવે તારે બ્રોમાંસનો પણ સામનો કરવો પડશે. ઉનડકટે પોતાના કરિયરની શરુઆત ટેસ્ટ મેચથી કરી હતી જેમાં તેમણે 2 રન બનાવ્યા હતા અને એક પણ વિકેટ લીધી ન હતી. સાત વન ડે મેચમાં તેમણે 8 અને 10 ટી 20 મેચમાં 14 વિકેટ લીધી છે.