દેશમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં કુદરતી પ્રકોપ સામે આવ્યો છે.
જમ્મુના રામબનમાં વાદળ ફાટ્યું
ભારે પૂરને કારણે થયું ભૂસ્ખલન
નેશનલ હાઈવે બંધ કરાયો
2 લોકોના મોત
કુદરત રિઝે તો રાજા નહીંતર કોપ આવી કહેવત વધુ એક વાર સાચી ઠરી છે. કુદરત આગળ આજે પણ માણસ લાચાર છે. એક ઝાટકે કુદરત માણસે બનાવેલું બધું રફેદફે કરી નાખતી હોય છે. ચોમાસાની ઋતુના કારણે દેશભરના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવી છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરવો પડ્યો હતો.
જમ્મુ કાશ્મીરના રામબનમાં કુદરતી કોપ
જમ્મુ કાશ્મીરના રામબનમાં કુદરતી કોપ સર્જાયો છે. અહીં ગુરુવારે અચાનક વાદળ ફાટતા ભારે પૂર આવ્યું હતું. પૂરને કારણે આખો નેશનલ હાઈવ માટી અને કાદવ કીચડથી ઢંકાઈ ગયો હતો તેને પરિણામે અકસ્માત નિવારવા તેને તાત્કાલિક બંધ કરી દેવાયો હતો.
વાદળ ફાટતા પહાડના પથ્થરો નેશનલ હાઈવે પર પડ્યાં
જાણકારી મુજબ આ ઘટના ગુરુવારે બની હતી, જ્યારે રામબન જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે પહાડોના પથ્થરો હાઇવે પર આવવા લાગ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રે બચાવ કાર્ય શરૂ કરી દીધું છે અને શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
હિમાચલમાં ભૂસ્ખલન
ભારે વરસાદને કારણે હિમાચલના ચંબા અને કુલ્લુ જિલ્લાના અનીમાં ગઈ કાલે રાત્રે વાદળ ફાટવાથી અનેક દુકાનો અને વાહનો તણાઈ ગયા હતા. અનીમાં અચાનક આવેલા પૂરને કારણે શાકમાર્કેટમાં 10 દુકાનો અને ત્રણ કાર તણાઈ ગઈ હતી. આ સાથે જ અનીના ગુગરા અને દેવઠી ગામના અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. આ પૂરના કારણે ગુગરા ગામના અનેક મકાનો અને વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.