કલમ 370 હટાવાયા બાદ કાશ્મીર ધાટીમાં 36 દિવસ પસાર થઇ ગયા છે અને હજી સુધી ઘાટીમાં સન્નાટો છવાયેલો છે. જો કે, મહોરમ પર્વ નિમિત્તે કાશ્મીરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
સુરક્ષાને ધ્યાને રાખતા ઘાટીના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં સેનાના જવાનોને ગોઠવવાના આદેશ આપવામાં આવ્યા છે. તાજિયાના સરઘસ દરમિયાન લોકો પર હુમલો કરી શકે તેવા ઇનપુટ મળ્યા હોવાથી ઇન્ટેલિજન્સ એજન્સીઓને પણ ખડે પગે રાખવામાં આવી છે.
કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ
નોંધનીય છે કે, કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારના આંતકી હુમલા અને તણાવથી બચાવ માટે મહોરમને લઇને આ પ્રકારના સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.
શ્રીનગરના લાલબાગ વિસ્તારમાં રહેતા મોહમ્મદ ખાલિક નામના એક શખ્સના જણાવ્યા મુજબ મૂળભૂત જરૂરીયો માટે પણ બહાર નીકળવા દેવામાં આવતા નથી. આજે સ્થિતિ સારી છે. પરંતુ મોટાભાગના હિસ્સામાં અમને જેવાની મંજૂરી આપવામાં આવી નથી.
પોલીસનું નિવેદન
પોલીસે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં શાંતિનો માહોલ છે. રવિવારે શહેરમાં સ્થિતિ સામાન્ય અને નિયંત્રણમાં રહી હતી. કોઇપણ પ્રકારની હિંસા રોકવા માટે અમે આ પ્રકારની અગમચેતીના પગલા લઇ રહ્યા છીએ.
દરમિયાન, સુરક્ષા દળો દ્વારા લોકો સામે બળનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એક મહિલા પત્રકારે સલામતી દળો પર આરોપ લગાવ્યો હતો કે રવિવારે તેણી જ્યારે તેના કામ પર જતી હતી ત્યારે તેણીને ત્રાસ આપવામાં આવ્યો હતો. જ્યારે એક ફોટો જર્નાલિસ્ટ મહોરમના સરઘસનું કવરેજ કરવા જતો હતો ત્યારે તેમને પણ પેલેટ ગનના છરા વાગ્યા હતા.
8 ગ્રાઉન્ડ વર્કર્સની કરાઇ ધરપકડ
જમ્મુ-કાશ્મીર પોલીસને સોમવારે મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસે સોપોરમાં અલગ-અલગ સંગઠનો માટે કામ કરતા 8 ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આતંકી સંગઠનો માટે સ્થાનિક લેવલ પર કામ કરતા હતા તેમના માટે સુચનાઓ મોકલતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલ સભ્યો કાશ્મીરના લોકોને ધમકાવવાનું તથા દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા.