ગત શનિવારે ૨૦૦૭ના ટી-૨૦ વિશ્વકપના હીરો ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી, પરંતુ ભારતના કેટલાક ખેલાડી એવા છે, જેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં તેઓ હજુય ટીમ ઇન્ડિયામાં પસંદગી થાય એવી આશા રાખીને બેઠા છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા નથી કહી રહ્યા.
આમ જોવા જઈએ તો આવા ખેલાડીની ટીમ ઇન્ડિયામાં વાપસી થાય તેવી હાલ તો કોઈ જ શક્યતા દેખાતી નથી. આજે આવા જ કેટલાક ખેલાડીઓ પર નજર કરીએ, જેઓ લાંબા સમયથી ટીમની બહાર છે, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા નથી.
હરભજનસિંહ (૩૯ વર્ષ)
ભારતીય ક્રિકેટના ટર્બોનેટર હરભજનસિંહની ઉંમર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાલાયક નથી રહી. તે ઉંમરના એ પડાવ પર ક્યારનો પહોંચી ચૂક્યો છે, જ્યાંથી ક્રિકેટર આ રમતને અલવિદા કહી દે છે. ભજ્જી વર્ષ ૨૦૧૫માં ભારત તરફથી પોતાની અંતિમ મેચ શ્રીલંકા સામે રમ્યો હતો. ભજ્જીએ ૧૦૩ ટેસ્ટ મેચમાં ૪૧૭ વિકેટ ઝડપવાની સાથે ૨૨૨૫ રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે નવ અર્ધસદી અને એક સદી નોંધાયેલી છે. તેની વન ડે કરિયર પણ શાનદાર રહી છે. ભજ્જીએ ૨૩૬ વન ડેમાં ૨૬૯ વિકેટ ઝડપી છે. હાલ તે આઇપીએલમાં ચેન્નઈની ટીમ તરફથી રમી રહ્યો છે.
અમિત મિશ્રા (૩૭ વર્ષ)
આ સ્પિનર ૩૭ વર્ષનો થઈ ચૂક્યો છે અને તેણે ભારત તરફથી અંતિમ મેચ ન્યૂઝીલેન્ડ સામે વર્ષ ૨૦૧૬માં રમી હતી. તેણે ભારત તરફથી ૨૨ ટેસ્ટ મેચમાં ૭૬ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ૩૬ વન ડેમાં ૬૪ વિકેટ તેના નામે નોંધાયેલી છે. અમિત મિશ્રા પણ હાલ આઇપીએલમાં રમી રહ્યો છે.
આર. વિનયકુમાર (૩૫ વર્ષ)
ફાસ્ટ બોલર વિનયકુમાર ભારત તરફથી ૩૧ વન ડે ઇન્ટરનેશનલ રમ્યો છે અને તેણે ૩૮ વિકેટ ઝડપી છે. વિનયને ફક્ત નવ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં રમવાની તક મળી છે, જેમાં તેના નામે ૧૦ વિકેટ નોંધાયેલી છે. તે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો.
યુસુફ પઠાણ (૩૭ વર્ષ)
ઈરફાન અને યુસુફ પઠાણ ટીમ ઇન્ડિયા તરફથી બહુ લાંબા સમયગાળાથી રમ્યા નથી. યુસુફ પઠાણ ૩૭ વર્ષનો છે, જ્યારે ઇરફાનની ઉંમર ૩૫ વર્ષની થઈ ચૂકી છે. આ બંને ભાઈમાંથી શનિવારે ઇરફાને તો નિવૃત્તિની જાહેરાત કરી દીધી, પરંતુ યુસુફે નિવૃત્તિ અંગે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. યુસુફ ભારત તરફથી ૫૭ વન ડે મેચ રમ્યો છે, જેમાં તેણે ૨૭.૦૦ની સરેરાશથી ૮૧૦ રન બનાવ્યા છે. યુસુફે ૨૨ ટી-૨૦ મેચમાં ૧૪૬.૬ના સ્ટ્રાઇક રેટથી ૨૩૬ રન બનાવ્યા છે. યુસુફ પઠાણને તો આઇપીએલમાં પણ હવે કોઈ ખરીદતું નથી.
ઇરફાન (૩૫ વર્ષ)
નિવૃત્તિ જાહેર કરી દેનારા ઇરફાનની વાત કરવામાં આવે તો તેણે ૨૯ ટેસ્ટમાં ૧૦૦ વિકેટ ઝડપી છે અને ૧૧૦૫ રન બનાવ્યા છે. તેણે ૧૨૦ વન ડેમાં ૧૭૩ વિકેટ ઝડપી છે અને ૧૫૪૪ રન બનાવ્યા છે. ઇરફાન હાલ કોમેન્ટેટર તરીકે સક્રિય છે. શનિવારે ઇરફાને જણાવ્યું, ''હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. મારા માટે આ ભાવનાત્મક ક્ષણ છે, પરંતુ આ એવી ક્ષણ છે, જે તમામ ખેલાડીઓના જીવનમાં આવે છે. મને સચીન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાની તક મળી. મારી ક્રિકેટ કરિયર સંતોષકારક હતી. ચાહકોએ મારા પર ખૂબ પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે.''