કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર નિશાન સાધીને કૃષિ કાયદા, કોરોનાની સ્થિતિ અને આર્થિક સ્થિતિ મુદ્દે સરકારની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતની લોકશાહી અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિમાં છે. સોનિયા ગાંધીએ મોદી સરકાર ઉપર નિશાન સાધીને કૃષિ કાયદા, કોરોનાની સ્થિતિ, દેશની આર્થિક સ્થિતિ અને દલિતો ઉપરના કથિત અત્યાચારો મુદ્દે સરકારની આકરી ટીકા કરી હતી.
દેશમાં નાગરિકોના હકોને મૂડીપતિઓને સોંપી દેવાયા
AICC જનરલ સેક્રેટરી અને સ્ટેટ ઇન્ચાર્જની બેઠકને સંબોધન આપતા તેમણે કહ્યું કે દેશમાં નાગરિકોના હકોને મૂડીપતિઓને સોંપી દેવાયા છે. નોંધનીય છે કે કોંગ્રેસ પક્ષમાં થયેલા આંતરિક ફેરફારો પછીની આ પહેલી બેઠક છે.
સોનિયા ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે દેશમાં લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓને કારણે દેશને ગ્રીન રિવોલ્યુશનથી મળતા ફાયદા મળતા બંધ થઇ જશે. તેમણે કહ્યું કે આ કાયદાઓથી દેશના કરોડો ખેતમજૂરો, ભાડુતી ખેડૂતો, નાના ખેડૂતો, મજૂરો અને નાના દુકાનદારોને નુકશાન થશે. આ નુકશાનથી લોકોને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ સંગઠિત થવું પડશે.
આ ઉપરાંત સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે દેશની લોકશાહી અને બંધારણ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશ કરોડો પરપ્રાંતીય મજૂરોની પીડાદાયક હિજરતનો સાક્ષી બન્યો છે અને સરકાર મૂંગા મોઢે આ ખેલ જોઈ રહી હતી. તેમણે PM મોદીના 21 દિવસમાં કોરોનાને હરાવવાના દાવા ઉપર પણ સવાલ ઉઠાવ્યો હતો.