ભારતમાં હમણાં જ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીના પરિણામો આવ્યા છે જેમાં ભાજપનો વિજય થયા છતાં નિષ્ણાતોના મતે આ નિરાશાજનક પરિણામ છે. જો વિપક્ષ મજબૂત હોત તો ભાજપને આ વખતે ચૂંટણી જીતવામાં ખુબ મુશ્કેલી પડે તેવી સંભાવના હતી. તો એ જાણવું જરૂરી છે કે લોકો કયા કારણથી હવે ભાજપથી મોઢું ફેરવી રહ્યા છે અને ભાજપના પ્રિય મુદ્દા રાષ્ટ્રવાદને હવે લોકો કેવી રીતે મૂલવે છે?
આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામી લોકસભાની ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો હતો. દેશની ખાડે ગયેલી અર્થતંત્રની હાલત અને 45 વર્ષના સૌથી ઓછા રોજગાર દરે ભાજપે કેવી રીતે આ ચૂંટણી જીતી લીધી એ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઉપજયો હતો.
આ વર્ષે આશ્ચર્યજનક રીતે નરેન્દ્ર મોદીએ 2014 કરતા પણ વધુ બેઠકો સુરક્ષિત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2014 કરતા આ વખતે સરકાર માટે કપરા ચઢાણ હતા. નિષ્ણાતો માને છે કે પુલવામા આતંકવાદી હુમલાના વળતા જવાબ રૂપે કરવામાં આવેલ બાલાકોટ એર સ્ટ્રાઇકે મોદીને ચૂંટણી જીતવામાં ઘણી મદદ કરી.
આ મુદ્દાથી દેશમાં ચર્ચા જાગી કે શું ખરેખર ભારતીય મતદારો પોતાની મૂળભૂત જરૂરિયાતો અને આર્થિક દશા કરતા રાષ્ટ્રવાદને વધુ મહત્વ આપે છે? આ સામે કેટલાકનું માનવું હતું કે નરેન્દ્ર મોદીની ટોઇલેટ્સ અને ઘરો બનાવવાની, ગરીબોને વીમો અને ગેસ સિલિન્ડર આપવાની વગેરે જેવી યોજનાઓ એ મોદીને વધુ મદદ કરી હતી. આ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રવાદ ઉપર હવે બ્રેક વાગી રહી છે.
રાજ્યની ચૂંટણીના પરિણામો : હરિયાણા
સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઈકોનોમીના ગયા મહિનાના એક અહેવાલ પ્રમાણે હરિયાણામાં દેશનો સૌથી વધુ 28.7% બેરોજગારીનો દર છે. ગુરુગ્રામની આસપાસની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની કંપનીઓ ઓટો સેક્ટરના રકાસના કારણે બંધ થઇ રહી છે આ ઉપરાંત સતત બે વર્ષથી પાકના ભાવો ઘટી રહ્યા હોવાથી ખેડૂતોને પણ ત્યાં મોટો ફટકો પડ્યો છે.
24 ઓક્ટોબરના રોજ આવેલા હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં હરિયાણામાં લોકસભાના 22% વોટ શેર ઘટી ગયા હતા. ભાજપના નેતાઓ 75 થી 90 બેઠકો જીતવાનો વિશ્વાસ રાખતા હતા જયારે તેમના હાથમાં ફક્ત 40 સીટો આવી જે સરકાર બનાવવાની બહુમતી કરતા 6 ઓછી હતી.
RSSના એક સિનિયર કાર્યકરે નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે આ નુકશાનમાં દેશના ઇકોનોમિક સ્લોડાઉનનો મોટો ફાળો હતો.
રાજ્યની ચૂંટણીના પરિણામો : મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો મુજબ ભાજપે સરકાર બનાવવા તેના કટ્ટર હરીફ શિવ સેના સાથે ગઠબંધન કરવું પડશે. રાજ્યમાં નબળા વિરોધપક્ષ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા લોકપ્રિય નેતાઓની હાજરી હોવા છતાં શાસક ગઠબંધનની જીતેલી સીટોમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થયો હતો.
શું કોંગ્રેસે જીતવા માટે પૂરતા પ્રયત્નો કર્યા નહોતા?
રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસે હરિયાણામાં મતદારોને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાતનું બરાબર કેમ્પેઇનિંગ કર્યું નહોતું. જો તેમણે આમ કર્યું હોત તો તેમની જીતવાની શક્યતા વધી ગઈ હોત. આ જ પ્રમાણે મહારાષ્ટ્રમાં રેલીઓ કરતી વખતે રાહુલ ગાંધીએ સહકારી બેંકોની ખસ્તા હાલત અને રોકાણકારોએ ગુમાવેલા રૂપિયા ઉપર પૂરતું મહત્વ આપ્યું નહોતું.
ભાજપે કેવી રીતે કેમ્પેઇનિંગ કર્યું હતું?
આર્થિક મંદીના પ્રશ્નોથી છટકવા માટે ભાજપે આખું કેમ્પેઇનિંગ કલમ 370 કાઢવા ઉપર કરી દીધું હતું. આમ ભાજપે લોકસભાની ચૂંટણીઓની જેમ જ આર્થિક દશા ભૂલાવવા માટે મતદારોને રાષ્ટ્રવાદનું મૃગજળ પાવાનો પ્રયત્ન કર્યો હતો.
જાણકારોએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાનની ટીકા, કલમ 370, વિરોધપક્ષને રાષ્ટ્ર વિરોધી ઠેરવી દેવા, ગેરકાયદેસર આશ્રિતોનો દેશ નિકાલ વગેરે મુદ્દા જો ભાજપ પાસે ન હોત તો આ બન્ને રાજ્યો જીતવા ખૂબ મુશ્કેલ હતા.
આ છતાં બંને રાજ્યોમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નહિ જે દર્શાવે છે કે મતદારો માટે રાષ્ટ્રવાદ કરતા સમાજને સ્પર્શતા મુદ્દા વધુ અગત્ય ધરાવે છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા વર્ષથી ગંભીર દુકાળની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. સરકારે ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી છે પરંતુ તેના લાભો હજી લોકો સુધી પહોંચી શક્યા નથી.
દેશની આર્થિક મંદીની પરિસ્થિતિમાં ભાજપને નેતાઓના બેજવાબદાર નિવેદનો જેવા કે ભારતમાં લોકો મુવીઝ જોઈ રહ્યા છે માટે મંદી નથી અથવા યુવાઓના ઓલા ઉબરના ઉપયોગના કારણે ઓટો સેકટરમાં મંદી આવી ગઈ છે વગેરે ના કારણે પણ લોકોમાં આક્રોશ ફેલાયો છે.
આમ એટલું ચોક્કસ કહી શકાય કે હરિયાણા અને મહારાષ્ટ્રએ ભાજપમાં ચેતવણીની ઘંટડી વગાડી દીધી છે.