રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનની પસંદગી કરશે
ઓસ્ટ્રેલિયા સામે બાકીની બે ટેસ્ટ મેચ માટે કરાશે પસંદગી
ભારતીય ટેસ્ટમાં વાઈસ કેપ્ટન પદેથી કેએલ રાહુલને હટાવવામાં આવ્યો
ટેસ્ટ ક્રિકેટમાં સતત ફ્લોપ રહેનારા ભારતીય ટીમના વાઈસ કેપ્ટન કેએલ રાહુલને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. જો કે, બીસીસીઆઈના પસંદગીકારોએ તેમની જગ્યાએ વાઈસ કેપ્ટનની જાહેરાત કરી નથી. ભારતીય બોર્ડે આ નિર્ણય કેપ્ટન રોહિત શર્મા પર છોડી દીધો છે. હવે હિટમેન ઓસ્ટ્રેલિયા સામે બાકીની બે મેચ માટે ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનનો નિર્ણય કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બાકીની બે મેચ ઈન્દોર અને અમદાવાદમાં રમાશે.
રોહિત પર છોડવામાં આવ્યો નિર્ણય
એક લોકપ્રિય અખબાર સાથેની વાતચીતમાં એક સૂત્રએ કહ્યું, કોઈ પણ ખેલાડીને વાઈસ-કેપ્ટન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો નથી. જેના બદલે આ અધિકાર રોહિત શર્માને આપવામાં આવ્યો છે કે તેમના કોલ મુજબ મેદાન છોડવાની સ્થિતિમાં ટીમનુ નેતૃત્વ કોણ કરશે? આની પહેલા ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલ ભારતીય ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન કેએલ રાહુલને બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમના કંગાળ ફોર્મના કારણે તેમને પસંદગીકારોએ વાઈસ કેપ્ટન પદેથી હટાવી દીધો. બીસીસીઆઈના પસંદગીકારોએ દિલ્હીમાં રમાયેલ ટેસ્ટ બાદ બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. જેમાં પસંદગીકારોએ કોઈ પણ ખેલાડીને વાઈસ કેપ્ટન પદ માટે પસંદ ના કર્યો.
નબળા ફૉર્મથી પસાર થઇ રહ્યાં છે કેએલ રાહુલ
કેએલ રાહુલ હાલમાં નબળા ફૉર્મમાંથી પસાર થઇ રહ્યો છે. તે છેલ્લાં 1 વર્ષથી ટેસ્ટ મેચમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આંકડા પર નજર નાખીએ તો છેલ્લાં 1 વર્ષથી રાહુલ ટેસ્ટ મેચમાં અર્ધસદી ફટકારી શક્યો નથી. છેલ્લી 5 ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ કોઈ પણ ઈનિંગમાં 23થી વધુ રન બનાવી શક્યો નથી. તેણે જાન્યુઆરી 2022માં ટેસ્ટ મેચમાં છેલ્લી વખત અર્ધસદી ફટકારી હતી.