રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી
સુરત શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો
2 વર્ષની બાળકીને ભર્યા 40 બચકાં ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
સુરતમાં માત્ર 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ
બાળકોને શ્વાન નિશાન બનાવતા વાલીઓમાં ચિંતા
સુરત શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનોએ એકસાથે હુમલો કર્યો હતો. વિગતો મુજબ રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
સુરતના ખજોદ વિસ્તારમાં દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. દોઢ વર્ષની બાળકી ઉપર અચાનક કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ તરફ બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સાથે એક્સ-રે કર્યા બાદ તેને સર્જરી માટે મોકલી દેવાઈ હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના?
સુરતના ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી એક પરિવારની બાળકી ઘર પાસે એકલી જ ઊભી હતી. આ દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.
શું કહ્યું ડોકટરે ?
સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઇમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સાથે શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાનની સાથે માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઇજા વધુ થઈ છે. જેને લઈ બાળકીને ઈમર્જન્સી વિભાગમાં કૂતરા કરડવાનાં ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી. આ સાથે તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.
સુરતમાં ડોગ બાઇટની ઘટનામાં સતત વધારો
વિગતો મુજબ સુરતમાં 15 દિવસમાં ડોગ બાઈટના 477 કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે, ફેબ્રુઆરીમાં નોંધાયેલા 477 કેસ પૈકી 22 કેસ ગંભીર છે. માહિતી મુજબ જાન્યુઆરી 2023 માં 1205 લોકોને કુતરુ કરડ્યું હતું. વર્ષ 2018માં સિવિલમાં 9,944 અને સ્મીમેરમાં 7154 કેસ નોંધાયા તો વર્ષ 2019માં સિવિલમાં 11099,સ્મીમેરમાં 7375 કેસ નોંધાયા હતા. આ સાથે વર્ષ 2020 માં સિવિલમાં 7124 સ્મીમેરમાં 5264 કેસ, વર્ષ 2021 માં સિવિલમાં 8,249 અને સ્મીમેરમાં 5431 કેસ અને વર્ષ 2022માં સિવિલમાં 6810 અને સ્મીમેરમાં 5298 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, શ્વાન માસુમ બાળકોને પોતાનું નિશાન બનાવી રહ્યો છે. આ તરફ બાળકોને શ્વાન નિશાન બનાવતા વાલીઓમાં ચિંતાનો માહોલ છે.