પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવતા પરણિતાએ પતિને માફ કર્યો
પતિએ રાત્રે ફરીથી પરણિતાને રીસ રાખીને માર માર્યો
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં પતિએ પત્ની સાથે મારઝૂડ કરી હોવાની ઘટના રાતે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ગત રોજ પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પત્ની પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પતિએ પત્ની સામે માફી માગતાં બંને વચ્ચે સમાધાન થયું હતું. જો કે, રાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે કેમ ગઇ તે મામલે પતિએ પત્નીને ધીબી નાખી હતી.
પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવતા પરણિતાએ પતિને માફ કર્યો
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 32 વર્ષિય શીલા યાદવે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રમેશ યાદવ વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. ગઇકાલે સવારે રમેશે કોઇ કારણસર શીલા સાથે બોલાચાલી કરીને ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. બબાલ એટલી હદે વકરી કે શીલા બપોરે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પતિ રમેશ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચી હતી. રમેશ પણ પાછળને પાછળ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.જ્યાં પોલીસે પહેલાં બંને પક્ષ વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરી હતી. શીલાએ ફરિયાદ નોંધવાનું કહી દેતાં રમેશે પોલીસ સ્ટેશનમાં શીલાની માફી માગી લીધી હતી.
પતિએ રાત્રે ફરીથી પરણિતાને રીસ રાખીને માર માર્યો
શીલાએ રમેશને પોલીસ સ્ટેશનમાં માફ કરી દીધા બાદ બંને જણાં રાજીખુશીથી પોતાના ઘરે આવી ગયાં હતાં. ત્યારે રાતે આઠ વાગ્યાની આસપાસ રમેશ ગુસ્સામાં ઘરે આવ્યો હતો. શીલા કાંઇ પણ બોલે તે પહેલાં રમેશે તેને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું અને માર મારીને કહ્યું હતું કે તું બપોરે મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે ગઇ હતી. શીલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા. આથી રમેશ વધુ ઉશ્કેરાયો હતો અને કહ્યું હતું કે આજે તારા હાથ પગ તોડી નાખીશ. શીલાએ તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં અમરાઇવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. શીલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં રમેશ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.