છેલ્લા લગભગ બે મહિનાથી નવા કૃષિ કાયદાનો ખેડૂતો દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે, જેમાં મોટા ભાગના પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો છે.
IMFના મુખ્ય આર્થિક સલાહકારે કર્યું સમર્થન
નવા કૃષિ કાયદાના મુદ્દે કર્યું કેન્દ્ર સરકારનું સમર્થન
નવા કાયદામાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા: ગીતા ગોપીનાથ
મહત્વનું છે કે અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે 11 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ઉકેલ આવી શક્યો નથી. આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે હમેશા મોદી સરકારની આર્થિક નીતિઓના કડક ટીકાકાર મનાતા IMF ના મુખ્ય આર્થિક સલાહકાર ગીતા ગોપીનાથે કૃષિ કાયદા માટે મોદી સરકારની તરફેણ કરી છે અને કહ્યું છે કે આ કાયદાઓમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા છે.
ભારતીય કૃષિમાં સુધારણાની જરૂર : ગીતા ગોપીનાથ
આ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કે નબળા ખેડૂતોને આ મુદ્દે સામાજિક સુરક્ષા આપવાની પણ જરૂર છે, સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભારતીય કૃષિમાં સુધારણાની જરૂર છે.
વોશિંગ્ટન સ્થિત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે એવા ઘણા ક્ષેત્રો છે, જેમાં સુધારાની જરૂર છે. ભારત સરકારે ગત સપ્ટેમ્બર મહિનામાં લાગૂ કરેલા ત્રણ નવા કૃષિ કાયદાને કૃષિ ક્ષેત્રે સુધારાની જેમ દર્શાવવામાં આવ્યા છે, જે વચેટિયાઓને દૂર કરશે અને ખેડૂતોને દેશમાં ક્યાંય પણ પોતાની ઉપજને વેચવાની આઝાદી આપશે.
ખેડૂતો માટેનું બજાર મોટું બની રહ્યું છે : IMF
ગીતા ગોપીનાથે વધુમાં કહ્યું હતું કે કૃષિ કાયદા ખાસ કરીને વિપણન ક્ષેત્રની સાથે સંબંધિત છે, ખેડૂતો માટે બજાર મોટું બની રહ્યું છે, હવે તે કોઈ ટેક્સ ચૂકવ્યા વગર મંડીની સિવાયના સ્થાનોએ પણ તેની ઉપજ વેચી શકશે, અને અમારું માનવું છે કે તેમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા છે.
આની સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ સુધારો કરવામાં આવે છે ત્યારે દરેક પરિવર્તનની એક કિંમત હોય છે અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે આનાથી નબળા ખેડૂતોને કોઈ નુકસાન ન પહોંચવું જોઈએ. હમણાં એક નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે જોવાનું રહે છે કે આનું શું પરિણામ સામે આવે છે?