ખોડલધામ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા નરેશ પટેલે રાજકારણમાં જોડાવાનો નિર્ણય હાલ પૂરતો મોફૂક રાખ્યો હોવાનું કહ્યું
હું તો નહીં જ જવું, મારા દીકરાને પણ ના પાડીશ: નરેશ પટેલ
હું એને બિલકુલ ના પાડીશ. પછી સમય સંજોગ: નરેશ પટેલ
હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે: નરેશ પટેલ
પાટીદાર અગ્રણી અને હમેંશા ચર્ચામાં રહેતા નરેશ પટેલે આજે મોટી જાહેરાત કરી છે. ખોડલધામ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય હાલ પૂરતો મોફૂક રાખ્યો હોવાનું કહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, હું તો રાજકારણમાં નહીં જ જવું. પણ મારા દીકરાને પણ ના પાડીશ.
પોતાના દીકરાને લઈ શું કહ્યું નરેશ પટેલે ?
સૌરાસ્ટ્રના કદાવર નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણને દૂરથી સલામ કહી દીધું છે. તેમણે કહ્યું હતું કે, હું મારા પુત્ર શિવરાજને રાજકારણમાં જવું હશે તો હું એને બિલકુલ ના પાડીશ. પછી સમય સંજોગ .. પણ હું શિવરાજને રાજકારણ માટે ના પાડીશ.
રાજકીય અટકળોનો અંત
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલીક અટકળો ચાલતી આવી છે. જેનો આજે અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 'રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.'
હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'વડીલોની ચિંતા, સમાજનું સંગઠન, હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં. દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ન કરી શકું. ત્યારે વડીલોની ચિંતા મને થોડી યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરે. આ બાબતથી હાલ રાજકારણમાં મારા પ્રવેશને હું હાલ પૂરતો મોકુફ રાખું છું. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગે છે.'
સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય: નરેશ પટેલ
રાજકારણને લઇને તેઓએ જણાવ્યું કે, 'મારો રાજકારણમાં પ્રવેશ હાલ પૂરતો મોકુફ જ છે. એટલે કે આમ તમે રદ જ ગણી શકો. પણ સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય. આને પોલિટિકલ પ્રેશર ના કહી શકાય. કેમ કે જો પોલિટિકલ પ્રેશર હોત તો હું પહેલેથી રાજકારણમાં જવાનો નિર્ણય ના લઉં.'
હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે. તો મને પૂછીને જ જે વાત કરવી તે કરજો. 2022ની અંદર દરેક પક્ષમાં પાટીદારો હોય અથવા અન્ય સમાજના પણ લોકો મારી મદદ માંગવા આવશે તો હું તેમને મદદ કરીશ.'
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'હું પ્રથમ તો આપ સૌ મીડિયાકર્મીનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું તેનો ઋણી છુું. દરેક રાજકીય પક્ષ અને તેના આગેવાનોએ મને જે આવકાર આપ્યો છે તેનો પણ હું આભાર માનું છું. તેમજ ગુજરાતના સર્વે સમાજના ભાઇ-બહેનોએ મને હુંફ આપી છે તેમનો પણ હું આભાર માનું છું.'