વડોદરામાં વિરામબાદ ફરી વરસાદ શરૂ થયો છે. NDRF-SDRF, ફાયરબ્રિગેડ, પોલીસ, આર્મી અને SRP સહિતની ટીમ ચાલુ વરસાદે રેસ્ક્યુ કરી રહી છે. વડોદરામાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક ઘરોમાં પાણી ઘુસ્યા છે. શહેરીજનો હેરાનપરેશાન થઇ રહ્યા છે.
વડોદરામાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. શહેરની સ્થિતિ કફોડી બની જવા જતાં જનજીવન પ્રભાવિત થયુ. જો કે, NDRFની 11 ટીમ, ફાયરબ્રિગેડની ટીમ, પોલીસ દળ, SDRFની 4 ટીમ, સેનાની 2 ટીમ જ્યારે એસઆરપીની બે કંપનીઓ બચાવ કાર્ય માટે પહોંચી છે. આ તમામ દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે. જોકે વડોદરામાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની 5 ટીમ એરલિફ્ટ કરવામાં આવી છે.
3 ફાયર વિભાગની ટીમ પહોંચી
અન્ય જિલ્લાઓમાંથી પણ ફાયર વિભાગની ટીમો બોલાવાઈ છે. અમદાવાદથી 3 ફાયર વિભાગની ટીમ વડોદરા પહોંચી છે. વરૂણ પંપ અને બોટ રેસ્ક્યુની કામગીરી ફાયર વિભાગ કરશે. મણિનગર, બોડકદેવ ફાયર સ્ટેશનની ટીમો પણ વડોદરા કામગીરી કરશે.
4000થી વધુ લોકોનું સ્થળાંતર
મહત્વનું છે કે, અત્યાર સુધીમાં 1200 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 4000થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. ફાયરવિભાગની ટીમ ચાલુ વરસાદે રેસક્યુ કરી રહી છે. કલ્યાણનગર વિસ્તારમાં આશરે 150 ઘરોમાં પાણી ઘુસ્યા છે. આ વિસ્તારમાં 500થી વધુ અસરગ્રસ્તો ફસાયેલા છે. જ્યારે વલસર ગામે NDRF ટીમ પહોંચી 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. કારેલીબાગ વુડા સર્કલ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. જલારામ નગર, સહયોગ નગરમાં લોકો ફસયા છે. હોસ્પિટલોમાં સ્ટાફ અને લોકો ફસાયા છે. NDRFએ 30 લોકોનુ રેસ્ક્યુ કરી લોકોને બહાર લવાયા છે. NDRF દ્વારા હાલ પણ રેસ્ક્યુ ચાલુ છે. આમ અંદાજે 4000 જેટલા અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું છે. સ્થળાંતર કરાયેલા લોકોને અલગ અલગ 19 જગ્યાએ વ્યવસ્થા કરાઈ છે. અસરગ્રસ્તો માટે NGO અને સામાજિક સંસ્થાઓ પણ કામે લાગી છે.
ઢાઢર નદીમાં વધ્યો પ્રવાહઃ 8 ગામો અલર્ટ પર
વડોદરામાં વરસેલા અવિરત વરસાદના કારણે નિર્માણ થયેલ પરિસ્થિતિ બાદ આજવા અને વિશ્વામિત્રી નદીના જળ ઢાઢર નદીમાં આવતા ઢાઢર નદીની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે આમોદ તાલુકાના 8 જેટલા ગામો અલર્ટ ઉપર છે ત્યારે જુના વાડિયા ગામ તરફ જતા માર્ગો અને ખતેરોમાં ઢાઢર નદીના જળ ફરી વળતા સ્થાનિક ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. પાણી માર્ગ ઉપર આવી જતા ગામ તરફ જઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ વધતી જળ સપાટીને લઇ લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. ત્યારે નેશનલ હાઇવેની આસપાસના ગામો સાથે સંપર્ક તૂટ્યો છે. વિલાસ ગામ સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે.