કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિત 9 રાજ્યમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પૂરના કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 238 લોકોનાં મોત નિપજ્યાં છે. સૌથી વધુ પૂરની તારાજી કેરળમાં જોવા મળી છે, જ્યાં 92 લોકોનાં મોત થયા છે.
દેશમાં પૂરની અસર યથાવત્
પૂરના કારણે અત્યાર સુધીમાં દેશમાં 238 લોકોનાં મોત
NDRF અને SDRF દ્વારા બચાવ કામગીરી પુરજોશમાં
ગુજરાત, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
કર્ણાટકમાં 54, ઉત્તરાખંડમાં 34, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં 32, ગુજરાતમાં 24 લોકોના મોત થયા છે. ગુજરાત, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેરળ સૌથી વધારે પ્રભાવિત
સતત પડી રહેલા વરસાદના કારણે આવેલા પૂરથી કેરળમાં ભારે નુકસાન થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પૂરના કારણે 92 લોકોના મોત થયા છે. જ્યારે 2 લાખ 87 હજારથી વધારે લોકો પોતાનું ઘર છોડી રાહત શિબિરમાં રહે છે.
કર્ણાટકમાં પૂરના કારણે 54 લોકોના મોત
કર્ણાટકમાં પડી રહેલા મુશળધાર વરસાદના કારણે પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 54 લોકોનાં મોત થયા છે. કર્ણાટક સરકારે રાહત કાર્યો માટે 3,000 કરોડ રૂપિયાની સહાયની માગણી કરી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટકના તટીય ક્ષેત્ર, વિદર્ભ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલય, મણિપુર, ગુજરાત અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
ઓડિશામાં આકાશી આફતથી હાહાકાર
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે ઓડિશા અને તેની આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ઓડિશાના 11 જિલ્લામાં હજુ પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી 48 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. ઓડિશામાં હરીશંકર ધોધમાં ગાંડોતૂર થયો હતો. જેના કારણે કેટલાક લોકો પણ ફસાઈ ગયા હતા. ઓડિશામાં સંભલપુર-ટિટલાગઢ સેક્શન પર ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો હતો.
મધ્યપ્રદેશના મંદસોરમાં ભારે વરસાદથી હાલાકી
મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે મંદસોરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મંદસોરના રહેણાંક વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મંદસોરના કેટલાક વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે.
જ્યારે કેટલાક ગામડાઓનો સંપર્ક પણ કપાઈ ગયો છે. નદીના પાણી ઘરમાં ઘુસી જતાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને ખાવા-પીવાના પણ ફાંફા પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તો હજુ પણ આગામી 12 કલાક મધ્યપ્રદેશ માટે ભારે છે.