પોતાના શરીરમાં એક ફેફસું ન હોય અને વળી કોઈ વ્યક્તિ પાંસઠ વર્ષની ઉંમરે પહોંચી હોય તો તે શું કરતી હોય? કદાચ આપનો જવાબ હશે કે તે વ્યક્તિ પથારીવશ રહી નિવૃત્તજીવન જીવી રહ્યા હશે. પરંતુ જો આપ હિંમતનગરના જાંબુડીગામના હસમુખભાઈ પટેલને મળશો તો આપની ધારણા ખોટી પડશે.
એક જ ફેફસું છે છતાં...
વાંસળીમાં પૂરે છે પ્રાણ
કલા અને પ્રકૃતિપ્રેમનો સમન્વય
પ્રકૃતિના સાંનિધ્યમાં વાંસળી વગાડી રહેલા આ વડીલનું નામ છે હસમુખભાઈ પટેલ. વાંસળીમાં તે પોતાના શ્વાસથી એવા તો પ્રાણ પૂરી રહ્યા છે કે પ્રકૃતિ અને સંગીત એકાકાર થઈ જાય. પરંતુ એક વાત આપ જાણશો તો આપને દુખદ આશ્ચર્ય ઉપજશે. વાંસળીમાં પોતાના શ્વાસ રેડીને મધુર સંગીત રેલાવતા આ હસમુખભાઈ એક ફેફસા પર જ જીવનજીવી રહ્યા છે.
અઢાર વર્ષની ઉંમરથી જ એક ફેફસા પર જીવન
હા સંગીત પ્રત્યેના પ્રેમે હસમુખભાઈમાં એવું જોમ પૂર્યું છે કે તે શારીરિક મર્યાદાને ઓળંગીને સમાજને કશુંક આપવા જહેતમ કરી રહ્યા છે. તેઓ પોતે ધારત તો નિવૃત્ત જીવન કશી પ્રવૃત્તિ વગર શાંતિથી વિતાવી શકત. પરંતુ કલા અને પ્રકૃત્તિ પ્રત્યેના પ્રેમે તેમને નિવૃત્તિ બાદ ઉલટાના વધારે પ્રવૃત્તિશીલ બનાવી દીધા છે. પોતાના વતન એવા જાંબુડી ગામમા જ તેમને વૃક્ષારોપણમાં નોંધનીય પ્રદાન કર્યું છે. કારણ કે,તેઓ અઢાર વર્ષની ઉંમરથી જ એક ફેફસા પર જીવન જીવી રહ્યા છે. આથી તેઓ જીવન માટે પ્રાણવાયુનું કેટલું મહત્વ છે તે સારી રીતે સમજે છે. તેમણે પ્રકૃતિપ્રેમના દર્શ કરાવતા અને વૃક્ષો પણ વાવ્યા છે અને પ્રકૃતિને જ જાણે પોતાના શ્વાસ અર્પણ કરતા હોય તેમ નાના બાળકોને વાંસળી વાદન પણ શીખવી રહ્યા છે.
સમગ્ર પંથકમાં વાંસળી વાદક તરીકે પ્રખ્યાત બન્યા
હસમુખભાઈ પટેલ સમગ્ર પંથકમાં વાંસળી વાદક તરીકે પ્રખ્યાત બની રહ્યા છે પોતાને એક જ ફેફસા હોવા છતાં આહલાદક સૂર રેલાવે છે. એક ફેફસું ન હોવા છતાં વાંસળી વગાડતા હોય તેવા તે ગુજરાતના પ્રથમ વ્યક્તિ છે. પરંતુ તેમનો પ્રકૃતિપ્રેમ તેમને આમ કરવા બળ પ્રદાન કરી રહ્યો છે. તેઓને મન તો નિવૃત્તિ વયે આ બધી પ્રવૃત્તિ પ્રકૃત્તિની પૂજા છે
પાટણ યુનિવર્સિટીમાં કર્મચારી તરીકે નિવૃત્ત થયા
સાબરકાંઠાના હિંમતનગર ના જાંબુડી ગામના હસમુખભાઈ પટેલે પાટણ યુનિવર્સિટીમાં કર્મચારી તરીકે નિવૃત્ત થયા બાદ એક નવા જીવનની શરૂઆત કરી છે. તેમના જીવનમાંથી તો લોકો પ્રેરણા મેળવી જ રહ્યા છે સાથે સાથે નાના બાળકો પણ હસમુખભાઈની જેમ કલાને પ્રેમ કરવાનું શીખી રહ્યા છે.
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. હસમુખભાઈએ આ વાતને સાચી ઠેરવી બતાવી છે. પ્રકૃતિ પાસેથી જે કંઈ લઈએ છીએ તે પ્રકૃતિને અર્પણ કરવામાં જ તેઓ જીવવની સાર્થકતા સમજાવી રહ્યા છે.