અમરેલીના ગીર પંથકમાં શાંતિથી પોતાની મોજમાં બેઠલા સિંહબાળની નજીક ડ્રોન કેમેરો લઈ ગયા ટિખળખોરો, કેમેરા સામે ઘુરકિયા કરતો સિંહબાળનો વીડિયો વાયરલ
સિંહબાળની નજીક લઈ ગયા ડ્રોન કેમેરો
સિંહબાળની પજવણીનો ઈરાદો
કોણ છે આવા ટિખળખોરો?
ગીર અને ગીરનો રાજા એટલે કે, એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે. અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદેસર લાયન શો યોજવામાં આવી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તે ઉપરાંત સિંહની પજવણીના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
સિંહબાળને કેમ હેરાન કર્યું
ત્યારે અમરેલીના ગીર વિસ્તારમાં ટીખળખોરોએ વધુ એક કારસ્તાન કર્યું છે. સિંહબાળ પાસે ડ્રોન કેમેરો લઈ પજવણી કરાઇ હોવાનો વીડિયો વાયરલ થયો છે.સિંહબાળ આરામથી બેઠું હતું ત્યારે ડ્રોન કેમેરો તેની નજીક લઈ ગયા અને સિંહબાળને હેરાન કર્યું હતું.સિંહબાળે કેમેરા સામે ઘુરકિયા કર્યા હતા પણ વનવિભાગ સમગ્ર ઘટના અંગે મૌન સેવી રહ્યું છે. આવી કરતૂતો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ નાની મોટી ભૂલ સમજી આવી ઘટનાઓ પાછળ આંખ આડા કાન કરી રહ્યું છે.
સિંહના મોતના આંકડા ચોંકાવનારા
બીજી તરફ નજર કરીએ તો વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સિંહોના મોતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 283 સિંહના મૃત્યુ થયા છે. જો આમ જ ગુજરાતના ગૌરવ સમાન પ્રાણીઓના મોત થતાં રહ્યા તો આગળની પેઢી કદાચ સિંહ અને દીપડા હતા તેમ કહેશે તે વાત કહેવામાં કોઈ અતિશકયોક્તિ નથી. પણ વધતી સંખ્યાને સામે 2 વર્ષમાં થયેલા મોતનો આંકડો અતિશય વધારે છે. જેના કારણો વન વિભાગે શોધવાની જરૂર છે. સિંહ હવે જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે, જે માટે જંગલનું ગેરકાયદે પતન પણ જવાબદાર છે અને જંગલ વિસ્તારમાં ચાલતી અન્ય ગેરપ્રવૃતિઓ અને ગ્રીન હાઉસ અસર પણ..