આજે ગુજરાતની રૂપાણી કેબિનેટમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રી પદ આપવામાં આવેલ છે. ત્રણેય નેતાઓએ આજે રાજભવનમાં શપથ લીધાં છે. આ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતાં.
ત્યારે મંત્રીમંડળને લઇને ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે, મંત્રીમંડળમાં 3 મંત્રીઓનો ઉમેરો કરાયો છે. આ મંત્રીમંડળમાં એક કેબિનેટ મંત્રી અને બે રાજ્યમંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં અને યોગેશ પટેલ તેમજ હકુભા જાડેજા (ધર્મેન્દ્રસિંહ જાડેજા)ને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવ્યાં છે.
હાલમાં નેતાઓને માત્ર ખાતા જ સોંપવામાં આવ્યાં છે. વિભાગની ફાળવણી આગામી દિવસોમાં કરાશે. સીએમ રૂપાણી આગામી દિવસોમાં તે ખાતાની ફાળવણી કરશે. સાથે તેમણે એમ જણાવ્યું કે, મંત્રીમંડળમાં હજી પણ જગ્યા છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. હાલમાં સંસદીય સચિવની નિમણૂંક નથી કરવામાં આવી.
મંત્રીપદ:
જવાહર ચાવડાઃ કેબિનેટ મંત્રી
યોગેશ પટેલઃ રાજ્ય કક્ષાનાં મંત્રી
હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજાઃ રાજ્ય કક્ષાનાં મંત્રી
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે માણાવદરનાં કોંગ્રેસનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ ગઇ કાલનાં શુક્રવારનાં તારીખ 8 માર્ચનાં રોજ રાજીનામું આપ્યું હતું. જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનાં નિવાસ સ્થાને રાજીનામું આપ્યું હતું.
મહત્વનું છે કે જવાહર ચાવડા એ કોંગ્રેસનાં મોટા કદનાં નેતા છે અને સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ આવતા હતાં. ત્યારે જવાહર ચાવડાનાં રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પણ પડ્યો છે. જવાહર ચાવડાનાં પિતાનું પણ રાજકારણમાં મોટું નામ છે. જ્યારે જવાહર ચાવડા આહીર સમાજનાં મોટા આગેવાન પણ છે એટલે ભાજપ માટે આ ખૂબ ફાયદાકારક છે.