ગુજરાતમાં સરકારી ડૉક્ટર્સની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે ચોથો દિવસ છે. રાજકોટ, સુરત, પંચમહાલ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં દર્દીઓને લઇને મુશ્કેલી સર્જાઇ છે.
રાજ્યમાં સરકારી તબીબોની હડતાલનો ચોથો દિવસ
10 હજાર ડૉક્ટર હડતાળ પર ઉતરતા હોસ્પિટલોમાં તમામ સેવાઓ ખોરવાઈ
દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
ડૉક્ટર વગર દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયુ
રાજ્યના અંદાજે 10 હજાર ડૉક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ડૉક્ટર્સની હડતાળને પગલે રાજ્યમાં આરોગ્ય સેવા ખોરવાઇ છે. OPD, ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી ડૉક્ટર્સ દૂર રહ્યાં છે. રાજકોટમાં પ્લાન્ડ સર્જરી સહિતના અનેક ઓપરેશનો અટક્યા છે. ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ ભારે મુશ્કેલી થઇ રહી છે. તો આ તરફ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળતા યુવકનું મૃત્યુ થયું છે. હડતાળના કારણે યુવકને તાત્કાલિક યોગ્ય સારવાર મળી ન હતી.
ડોક્ટરોને આપણે ભગવાનનું બિરુદ આપ્યું છે. પરંતુ ક્યારે આજ ડોક્ટરો એવી હદ વટાવી દે છે કે, લોકોને તેમને ભગવાન નહીં યમરાજ કહેવા માટે મજબૂર બની જાય છે. આવું જ હાલ રાજ્યમાં થઈ રહ્યું છે. છેલ્લા 4 દિવસથી રાજ્યભરમાં ડોક્ટરો હડતાળ પર છે. આજ હડતાળના કારણે, કોઈ પરિવારનો ચિરાજ બુઝાઈ ગયો છે. તો કોઈ પરિવાર સારવાર માટે સ્વજનોને લઈને ધક્કા ખાઈ રહ્યા છે. તેમાં પણ સુરતમાં તો બે દીકરીઓના માથેથી પિતાની છત્રછાયા જ છિનવાઈ ગઈ છે. ત્યારે કેવી છે ડોક્ટરોની હડતાળના કારણે હોસ્પિટલોમાં પરેશાન દર્દીઓની વ્યથા...
એક દર્દીના સગાએ વેદના ઠાલવતા કહ્યું કે, આ તમામને કોરોનાકાળમાં ભગવાનનો દરજજો આપ્યો હતો. હડતાળ નડી છે, મારા મમ્મી સારવાર વિહોણા છે. જો હડતાળ ન હોત તો મારા મમ્મીનું ઓપરેશન થઇ ગયું હોત અને તો તેને ઘરે લઇ ગયો હતો. ડૉક્ટરો અમને એવું કહે છે કે તમારા માટે દિલ્હીથી સ્પેશિયલ 10 ડૉક્ટર બોલાવ્યા છે. રિપોર્ટ કરીશું અને દવા કરીશું. એ ડોક્ટર ક્યારે આવે એ અમારા હાથમાં ન હોય. ઘરે ચાલ્યું જવું હોય તો ચાલ્યા જાવ અમને ન ખબર હોય.
અન્ય એક મહિલા(દર્દીના સગા) રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, હું 8 દિવસથી સવાર,બપોર,સાંજ અહીં જ છું. સારવાર સારી છે પણ હડતાળ ન કરાય. ભગવાનનો દરજજો દીધો છે. મારા સાસુને કંઇ થયું તો તમને હાય લાગશે.
લોકોને બિમારીમાંથી સાજા કરનાર અને લોકોને નવું જીવન જીવવાની રાહ ચિંધનાર પણ તબીબો જ જો લોકોના જીવ સાથે રમત કરે, તો દર્દીઓનું દર્દ અને પરિવારજનોનું આંક્રદ કોણ સમજે? ક્યાંક ઓપરેશન થિયટરો બંધ છે તો ક્યાંક ICUમાં દર્દી અને પરિવારજનોના શ્વાસ અધ્ધર છે.
તો આ તરફ ગોધરા સિવિલ હોસ્પિટલમાં 3 મૃતદેહ રઝળવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. માનવતાના ધોરણે ડૉક્ટર્સે પોસ્ટમોટર્મની કામગીરી શરૂ કરી છે. આ ડૉક્ટર્સની હડતાળથી દર્દીઓનું દર્દી વધ્યું છે.
સળગતા સવાલ:
હવે સવાલ એ છે કે માગણીઓ માટે દર્દીઓને મુશ્કેલીમાં મુકવા કેટલા યોગ્ય છે? તબીબો માગણીઓને લઈને સરકાર સામે હડતાળ સિવાય ક્યા શસ્ત્ર ઉગામી શકે છે? જનતાને જીવતદાન આપનારા લોકો જ જો નિર્દય બની જાય તો જનતા ક્યાં જાય? સરકાર અને સિસ્ટમની લડાઈમાં સામાન્ય માનવી કેમ પરેશાન થાય? તબીબોની કઇ માગ સરકારે સ્વીકારી? તબીબો સરકાર સામે શું કરી રહ્યા છે માગણી? સરકારે તબીબો માટે શું કરી જાહેરાત? હડતાળના નિર્ણયથી ક્યાં ક્યાં જનતા થઈ પરેશાન? શા માટે તબીબોએ હડતાળ કરી? તબીબોના કેટલા સંગઠન હડતાળ પર ? તબીબોની માગ શું છે ? વૈકલ્પિક વ્યવસ્થા શું છે? ડોક્ટર્સની માંગોમાં દર્દીઓનું દર્દ કોણ સમજશે? સિસ્ટમ અને સરકારને દર્દીઓ શું કરે છે સવાલ?