અમદાવાદમાં 1 સપ્ટેમ્બરે યોજાશે પદયાત્રા, કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે
મિશન 2022ને લઇ કોંગ્રેસ સક્રિય
પરિવર્તન સંકલ્પ પદયાત્રા કરશે કોંગ્રેસ
દરેક વિધાનસભા મતવિસ્તારમાં આયોજન
મિશન 2022 માટે કોંગ્રેસ તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે.પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડાશે.
4 સપ્ટેમ્બરના રોજ દિલ્લીના રામલીલા મેદાનમાં મોંઘવારી મુદ્દે હલ્લાબોલ
મોંઘવારી અને બેરોજગારી મુદ્દે પર કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. ગુજરાત પ્રવાસે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી યશોમતી ઠાકુરે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે મોંઘવારીમાં સામાન્ય જનતા પિસાઈ રહી છેકપડા, રોટી અને અને મકાન મોંઘા થયા છે. મનુષ્યનો જીવ એકમાત્ર સસ્તો છે બાકી બધું જ મોંઘુ, આટલી મોંઘવારી અને બેરોજગારી દેશમાં આ પહેલા નહોતી. નોટબંધીમાં અમિરોના રૂપિયા ઓછા થયા નથી, ગરીબોની બચત પણ વધી નથી. ગેસ સિલિન્ડરના ભાવ 410 હતા ત્યારે આંદોલન થયા, વિરોધ કરનારા કેન્દ્રીયમંત્રી આજે 1 હજારના ભાવ પર ચુપ્પી સાધીને બેઠા છે.મોંઘવારી સામે કોંગ્રેસ હલ્લાબોલ કરવા જઈ રહ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ દિલ્લીના રામલીલા મેદાનમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે. જેમાં જનતાને જોડાવવા પણ અપીલ કરી છે.
કોંગ્રેસ 150 થી વધુ બેઠક મેળવશે- ધાનાણી
ભાવનગર શહેરમાં આજે કોંગ્રેસ દ્વારા બોલો સરકાર અંતર્ગત મેનીફેસ્ટો પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યાં હતા. લોકો પાસેથી મેનીફેસ્ટોમાં કયા મુદ્દા લેવા જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પરેશ ધાનણીએ જણાવ્યું હતું કે આ વર્ષે કોંગ્રેસ 150 બેઠક વિધાનસભામાં મેળવશે કાર્યકરોને આ વાત કરીને જુસ્સો વધાર્યો હતો.
મારું બુથ મારું ગૌરવ કેમ્પેઈન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે કોંગ્રેસે 'કોંગ્રેસનું કામ બોલે છે' શિર્ષક હેઠળ 'બોલો સરકાર' કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત કોંગ્રેસ કોંગ્રેસની સરકારમાં થયેલા કામની માહિતી લોકો સમક્ષ પહોંચાડી રહી છે. આ ઉપરાંત હવે કોંગ્રેસ પણ ભાજપના રસ્તે જઈ સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપશે. તેને લઈને બુથ મેનેજમેન્ટ માટે પ્રદેશ કોંગ્રેસે વ્યૂહરચના ઘડી છે. 'મારું બુથ મારું ગૌરવ' કેમ્પેઇન હેઠળ બુથોને મજબૂત કરવામાં આવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં 52 હજાર બુથની વિગતો એકત્રિત કરાશે. તાલુકા પ્રમુખોને ચૂંટણી પ્રચારમાં લાગી જવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.