ગુજરાતમાં દારૂબંધી અંગે ફરી એક વખત રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દારૂબંધીને લઈને અશોક ગેહલોતે આપેલા નિવેદન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યો છે કે, અશોક ગેહલોતે પહેલા પણ ગુજરાતની જનતાનું અપમાન કર્યુ છે. કોંગ્રેસ કયા મોઢે દારૂબંધી ચર્ચા કરવા માટે નિકળે છે. ગેહલોતે પહેલા પોતાના રાજ્યમાં દારૂબંધી કરવી જોઈએ.
અશોક ગેહલોતે ગુજરાતની જનતાનું અપમાન કર્યુઃ CM રૂપાણી
ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છેઃ અશોક ગેહલોત
ગુજરાતમાં યુવા પેઢી બરબાદ થઈ રહી છેઃ અશોક ગેહલોત
ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂ પીવામાં આવે છે અને મેં પહેલા કહ્યુ હતુ કે, ગુજરાતના ઘરે-ઘરે દારૂ પીવાય છે. જેનો જવાબ આપતા સીએમ રૂપાણીએ કહ્યું કે, ગેહલોતમાં હિંમત હોય તો, રાજસ્થાનમાં દારૂબંધી કરીને બતાવે. હું તેમની સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું. રાજસ્થાનમાં દારૂબંધી કરવી નથી, દારૂના કારખાના ચલાવવાના છે. ભવિષ્યની પેઢી વ્યસનમાં બરબાદ થઇ રહી છે. ગુજરાતમાં આવીને ગેહલોત સુફીયાણી વાતો કરે છે. રાજસ્થાનમાં ગુજરાતની જેમ દારૂબંધી જાહેર કરો. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક છે અને રહેશે. જે વિસ્તારમાં સામાજીક દુષણ છે, તેની સામે સરકાર લડે છે.
અગાઉ ગુજરાતમાં દારૂબંધી અંગે ફરી એકવાર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે સવાલ ઉઠાવ્યા હતા. અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે. સીએમ રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે. દારૂ ગુજરાતમાં ન આવે તે માટે સીએમ રૂપાણીએ પાડોશી રાજ્યો સાથે વાત કરવી જોઇએ.
અશોક ગેહલોતે કહ્યું કે દારૂબંધી ગુજરાતમાં સદંતર નિષ્ફળ છે અને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. અગાઉ પણ અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે ત્યાં ઘરે ઘરે દારૂ પીવાય છે. જેને લઇ ઘણો વિવાદ થયો હતો.