કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાલાકીનો માહોલ છે. મોટાભાગના દેશોએ તેમના લોકડાઉન નિયમો કડક કર્યા છે. આવી સ્થિતિમાં ઘણા લોકો તેમના વતનથી દૂર વિદેશમાં ફસાયેલા છે. સરકારે તેમને પાછા ભારત લાવવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. નોંધનીય છે કે હાલમાં લગભગ 1.75 કરોડ ભારતીય લોકો વિદેશમાં રહે છે.
ભારતે કોરોના વાયરસના ચેપને પહોંચી વળવા માટેના લોકડાઉનને 17 મે સુધી લંબાવ્યું છે. માર્ચમાં તેની પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વિદેશથી આવતા વિમાનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આને કારણે ઘણા લોકો વિદેશમાં ફસાયા હતા. હવે આ લોકોને વિદેશથી ઘરે લાવવાની પહેલ સ્વરૂપે વંદે ભારત મિશન શરુ કરવામાં આવ્યું છે.
જાણો, શું છે વંદે ભારત મિશન
કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીના જણાવ્યા અનુસાર ફસાયેલા ભારતીયોને વિદેશમાં પરત લાવવા માટે 7 મેથી 13 મે સુધી 64 વિશેષ ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. જેમાં પ્રથમ અઠવાડિયામાં 15 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. આ અભિયાન વંદે ભારત મિશનનો એક ભાગ છે.
સરકાર અનેક એજન્સીઓના સહયોગથી 'વંદે ઈન્ડિયા મિશન' ચલાવી રહી છે, જે અંતર્ગત UK, USA અને સિંગાપોર, મલેશિયા, કુવૈત, સાઉદી અરેબિયા, ફિલિપાઇન્સ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને બાંગ્લાદેશ માટે ખાસ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે. આ વિશેષ ફ્લાઇટ્સમાં ફક્ત 200 થી 300 મુસાફરોને બેસવા દેવામાં આવશે એટલે કે આ વિશેષ ફ્લાઇટ્સમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ સખ્તપણે પાલન કરવામાં આવશે.
સરકાર એવા લોકોને પાછા લાવવાની પ્રાથમિકતા રાખે છે કે જેમના વિઝાની મુદત પુરી થવાની છે અથવા મુસાફરો કે જેઓને તબીબી કટોકટી જેવા વિશિષ્ટ કારણો હોય. અધિકારીઓના જણાવ્યા મુજબ દસ હજારથી વધુ ભારતીયોને ખાડી દેશોમાં કોરોના વાયરસથી ચેપ લાગ્યાં છે, જેમાંથી 84 લોકોનાં મોત નીપજ્યાં છે.
ફ્લાઇટનો ખર્ચ કોણ ઉઠાવશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ વિશેષ ફ્લાઇટ્સનો ખર્ચ મુસાફરો ઉઠાવશે. આ માટે સરકારે ભાડાની જાહેરાત કરી દીધી છે. તેના ભાડા વિશે વાત કરવામાં આવે તો અમેરિકાથી પરત ફરવા માટે વ્યક્તિ દીઠ એક લાખ રૂપિયા અને યુરોપથી આવવા માટે 50,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
અહીં શિકાગોથી હૈદરાબાદ, શિકાગોથી દિલ્હી અને સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્કથી પણ 1-1 લાખ રૂપિયા ચુકવવા પડશે. બીજી તરફ લંડનથી દિલ્હી, લંડનથી મુંબઇ, લંડનથી બેંગ્લોર, લંડનથી અમદાવાદ માટે 50 હજાર રૂપિયા ચુકવવા પડશે.