આજના તહેવાર ઉત્તરાયણને લઇ પતંગ રસિકો માટે ખુશખબર, હવામાન વિભાગના જણાવ્યાનુસાર તમારે બહુ ઠુમકા નહીં મારવા પડે કારણ કે, આજે પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે
ઉત્તરાયણને લઇ પતંગ રસિકો માટે ખુશખબર
રાજ્યભરમાં ઉત્તરાયણની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી
આજે પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે
રાજ્યભરમાં આજે ઉત્તરાયણની આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થશે. તમને જણાવી દઈએ કે આજે ઉત્તરાયણના તહેવારે પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે. તમારા માટે ખુશીની વાત એ છ કે, આ વર્ષે તમારે બહુ ઠુમકા નહીં મારવા પડે. કારણ કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે ઉત્તરાયણ પર પવન સારો રહેશે.
પવનને લઈ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. સડસડાટ પતંગ ચગી જશે. આજે ઉતરાયણના તહેવાર પર ઉતર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. જેથી આજના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. જોકે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
સ્વેટર પહેરજો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. 14 અને 15 જાન્યુઆરી એટલે કે આજે ઉત્તરાયણ અને આવતીકાલે વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે, અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10થી 12 ડિગ્રી નોંધાઈ શકે છે. ફિરકી અને પતંગ સાથે ગોગલ્સ અને ટોપી પહેરીને ધાબે ચઢી જજો પરંતુ સ્વેટર લેવાનું ન ભૂલતા.
કરુણા અભિયાન
ઉત્તરાયણનો તહેવાર આવે એટલે મુક્ત મને આકાશમાં વિહાર કરતા પંખીઓ માટે જોખમી દિવસ. કારણ કે પતંગ રસિયાઓ બે દિવસ તો ધાબેથી ઉતરવાના જ નથી. આ દિવસોમાં પક્ષીઓ વધુ પ્રમાણમાં દોરી વાગવાથી ઘાયલ થાય છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓના જીવ બચાવી શકાય.
આ સમયે પતંગ ન ઉડાવવાની ઋષિકેશ પટેલે કરી હતી અપીલ
આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 09:00 વાગ્યા પહેલા અને સાંજે 05:00 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી હતી.