મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરમાં ગૌશાળામાં રહેતા એક સેવકે જણાવ્યું કે, જેવી ઘટના બની એટલે તરત હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા
50 જેટલા લોકોને બહાર કાઢનાર મંદિરના સેવક સાથે VTV ની વાતચીત
હું નજીકના મંદિરમાં ગૌશાળામાં રહું છું- સેવક
જેવી ઘટના બની હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા હતા
અમે 50 જીવિત અને 20 જેટલા મૃત લોકોને કાઢ્યા
મોરબીમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે. આનંદની ઘડીઓ વચ્ચે અચાનક મોતનો માતમ છવાઈ ગયો છે. તેવામાં સ્થાનિકો સહિત કેટલાય તરવૈયાઓએ મચ્છુમાં ડૂબકી લગાવી લોકોને બચાવ્યા હતા. VTV ન્યૂઝની ટીમે મોરબી દુર્ઘટનામાં લોકોના જીવ બચાવનાર મંદિરમાં ગૌશાળામાં રહેતા સેવક સાથે આ મામલે વાતચીત કરી છે. આ મંદિરના સેવકે 50 જેટલા જીવિત અને 20 જેટલા મૃત લોકોને બહાર કાઢ્યા હતા.
મોરબીની ગોઝારી ઘટનામાં 50 જેટલા લોકોને મોતના મુખમાંથી બચાવનાર સેવકની સરાહનિય કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે. મચ્છુ નદી નજીક આવેલા એક મંદિરમાં ગૌશાળામાં રહેતા એક સેવકે VTV ન્યૂઝને જણાવ્યું હતું કે, જેવી ઘટના બની એટલે તરત હું અને અમારી ટીમ અહીં પહોંચ્યા હતા. જે બાદમાં અમે લોકોએ નદીમાં કૂદીને 50 લોકોને જીવિત બહાર કાઢ્યા હતા. આ સાથે 20 જેટલા મૃતદેહો પણ બહાર કાઢ્યા હોવાનું સેવકે કહ્યું હતુ. જોકે નદીમાં બચવા કુદતી વખતે સેવકને પણ પગમાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે, મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે, છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તંત્રની સતત ખડે પગે કામગીરી
વિપદાની આ પળે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત તબિયતની જાણકારી મેળવી હતી.