આજે ૧ જૂનથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, પાનકાર્ડ, આર્મી કેન્ટિન અને પેટ્રોલ સહિતના કેટલાય નિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે. આ ઉપરાંત આજથી રાંધણ ગેસમાં પણ ભાવવધારાનો અમલ થઇ રહ્યો છે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં આજે તા.૧ જૂનથી રૂ. ૨૫નો વધારો થઇ ગયો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૨૫ અને સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧.૨૩નો વધારો આજથી અમલી બની ગયો છે.
રેટ રિવિઝન બાદ ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૭૭૧.૫૦ થઇ ગયો છે. ઘણા સમય બાદ જોવા મળ્યું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર (૧૯ કિલો)ના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. આ મહિને પણ વેપારીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. ૧૪૦૩.૫૦માં પડશે.
એ જ રીતે આજથી બેન્કોમાં આરટીજીએસ દ્વારા નાણાં મોકલવાનો સમય દોઢ કલાક વધીને સાંજના ૬ વાગ્યા સુધીનો થઇ ગયો છે. આરબીઆઇના નોટિફિકેશન અનુસાર આરટીજીએસ દ્વારા લઘુતમ રૂ. બે લાખ મોકલી શકાશે.
એક વર્ષમાં રૂ. ૨.૫ લાખથી વધુ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરનાર તમામ વ્યક્તિગત અને બિનવ્યક્તિગત શ્રેણીને ૩૧ મે પહેલા પાનકાર્ડની અરજી કરવી પડશે. આવું નહીં કરવા પર પેનલ્ટીની પણ જોગવાઇ કરવામાં આવી છે. સીબીડીટી આવી કંપની-વ્યક્તિઓ પર રૂ.૧૦ હજારનો દંડ ફટકારી શકે છે.
આજથી ઉત્તરપ્રદેશના નોઇડા અને ગ્રેટર નોઇડામાં હેલ્મેટ વગર દ્વિચક્રી વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં. એ જ રીતે આજથી આર્મી કેન્ટિનમાંથી સસ્તી કાર ખરીદી શકાશે નહીં. નવા નિયમ અનુસાર અધિકારી આઠ વર્ષે એક જ કાર ખરીદી શકશે અને તેના એન્જિનની ક્ષમતા ૨૫૦૦ સીસીથી વધુ હોવી જોઇએ નહીં.